કરજણ તા.૩૧ કરજણ તાલુકામાંથી પસાર થતાં ને.હા.૪૮ પર બામણગામ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી પૂરઝડપે આવેલી એક ખાનગી લકઝરી બસ ધડાકાભેર ઘૂસી જતાં બસના ચાલકનું કેબિનમાં કચડાઈ જવાથી કરૃણ મોત નિપજ્યું હતું. જ્યારે ૧૯ જેટલા મુસાફરોને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ને.હા.૪૮ પર છેલ્લા બે દિવસમાં જ એક જ પ્રકારના બે અકસ્માત સર્જાયા છે. એક દિવસ પહેલાં હાઇવે પર બંધ હાલતમાં ઊભેલી હાઈવા ટ્રક સાથે પાછળથી ખાનગી લકઝરી બસ ઘૂસી જતાં બે મુસાફરોના કરૃણ મોત નિપજ્યા હતાં. આજે ફરી એક ખાનગી લકઝરી બસ આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અથડાતાં કેબિનના ભાગનો કચ્ચરઘાણ થઈ જતાં બસના ચાલકનું સ્થળ ઉપર મોત નિપજ્યું છે.
આજે વહેલી સવારે અંદાજે સાડા ચાર વાગ્યાની આસપાસ કરજણ ને.હા.૪૮ પર અમરેલીથી સુરત તરફ એક ખાનગી લકઝરી બસ પસાર થઈ રહી હતી. જેમાં અંદાજે ૨૫ જેટલા મુસાફરો પ્રવાસ કરતા હતાં. દરમિયાન બામણગામ નજીકથી પસાર થતી વેળાએ આગળ ચાલતી એક ટ્રકમાં લકઝરી બસ પાછળથી ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ કરજણ ફાયર વિભાગને થતાં સ્થળ પર પહોંચી મુસાફરોની બચાવ કામગીરી હાથ ધરી હતી.
બસનો આગળનો ભાગ ચગદાઈ જતાં બસનો ચાલક ફસાઈ ગયો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યૂ સાધનોનો ઉપયોગ કરી ભારે જહેમત બાદ બસના ચાલકના મૃતદેહને બહાર કઢાયો હતો. અકસ્માતમાં અન્ય ૧૯ મુસાફરોને ઇજાઓ થતાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાપા સીતારામ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલક મયુર ખીમજીભાઈ ફરમાર (રહે.તરકતળાવ, તા.જિ. અમરેલી)નું મોત નિપજ્યું હતું.


