Tribal Community Fair For Rajiv Gandhi : મહીસાગરના કડાણા તાલુકાના સરસવા ગામે 1986થી સતત દર વર્ષે આજે પણ આંબલી અગિયારસ નિમિતે પૂર્વ વડાપ્રધાન સવર્ગસ્ત રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે. જેમાં આંબલી અગિયારસના દિવસે નીલખંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા-અર્ચના કરી મેળો ઉજવવામાં આવે છે.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં સરસવામાં યોજાઈ છે મેળો
આંબલી અગિયારસ પાવન અવસરે કડાણા તાલુકાના અંતરયાળ વિસ્તારમાં રાજસ્થાન બોર્ડર પર આવેલા સરસવા ગામે આજે(2 માર્ચ, 2026) આદિવાસી લોકોનો ભવ્ય મેળો યોજાયો હતો. આ મેળાનું મહત્ત્વ એ છે કે, વર્ષો પહેલાં સરસવા તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટાપાયે દુષ્કાળ પડ્યો હતો. ત્યારબાદ 23 માર્ચ 1986ને આંબલી અગિયારસના રોજ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી સરસવા ગામ તેમજ આજુબાજુના આદિવાસી ગામોની મુલાકાત લઈ આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો.
ત્યારબાદ આ વિસ્તારમાં પીવાનું પાણી, રાશન, રોડ-રસ્તા, શિક્ષણ તેમજ અનેક વિકાસના કામો કર્યા હતા. ત્યારથી વર્ષે આંબલી અગિયારસના દિવસે નીલખંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા કરી મેળો ઉજવાય છે.
રાજીવ ગાંધીના નામથી છે તળાવ
આ મેળામાં રાજસ્થાન તેમજ ગુજરાતના ખૂણે-ખૂણેથી આદિવાસીઓ તેમજ અન્ય સમાજના લોકો આવે છે અને મેળામાં ઉત્ત્સવભેર ઉજવણી કરે છે. રાજીવ ગાંધીએ જે-તે સમયે આ વિસ્તારમાં પાણીના સંગ્રહ માટે એક તળાવ પણ તૈયાર કરાયું હતું. આ તળાવનું નામ આજે પણ રાજીવ ગાંધી તળાવ તરીકે ઓળખાય છે. આ વિસ્તારના લોકોમાં રાજીવ ગાંધીને ભગવાનનું સ્વરૂપ માને છે. જેને લઈને સરસવા ગામે આવેલા નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી પૂજા કર્યા બાદ મેળા યોજાય છે.
સરપંચ કાંતિભાઈ અને અન્ય આગેવાન ગોલીસિંગ સંગડા દ્વારા 1986થી દરવર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે અને દૂર-દૂર રહેતા આદિવાસી લોકો મેળાની મજા માણવા આવે છે. દર વર્ષે હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી
સ્થાનિકોનું કહેવું છે કે, સરસવા ગામના મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાંથી લોકો મેળાની મજા માણવા આવે છે. હોળીનો તહેવાર આદિવાસી લોકો માટે મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો મેળામાં આવે છે. આ મેળામાં હોળીના તહેવાર નિમિતે વગાડવામાં આવતા ઢોલનું પણ મોટા પ્રમાણમાં વેપાર થાય છે અને ઢોલ વગાડી ગીત ગાઈને લોકો રાજીવ ગાંધીને યાદ કરીને મેળો ઉજવે છે.


