Gujarat

એ.એમ.ટી.એસના ૩૦ કંડકટર શહેરના સ્મશાનગૃહમાં ફરજ બજાવતા જોવા મળશે

By GS Team
11 Feb 20221 min read
This article was originally published on 11 Feb 2022
એ.એમ.ટી.એસના ૩૦ કંડકટર શહેરના સ્મશાનગૃહમાં ફરજ બજાવતા જોવા મળશે

    અમદાવાદ,ગુરુવાર,10 ફેબ્રુ,2022

૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહેલી અમદાવાદ મ્યુનિસસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ વહીવટીતંત્ર અને સત્તાધીશો દ્વારા કરાતા અવિચારી નિર્ણયોને લઈ ખાનગીકરણ તરફ આગળ વધતી જાય છે.એ.એમ.ટી.એસ.માં ફરજ બજાવતા ૩૦ કંડકટરોને બસને બદલે સાત ઝોનમાં આવેલા સ્મશાનગૃહમાં ફરજ ઉપર મુકવાનો તંત્ર તરફથી ઓર્ડર કરવામાં આવ્યો છે.પગાર એ.એમ.ટી.એસ.દ્વારા

બુધવારે મળેલી એ.એમ.ટી.એસ.કમિટીની બેઠકમાં ૨૦૦ જેટલી મીડી બસ ૪૬.૫૦ના ભાવથી સત્તાધારી પક્ષ સાથે ઘરોબો ધરાવતા ખાનગી ઓપરેટરોને ભાડેથી ચલાવવા આપવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હતો.ટાંક ઓપરેશન પ્રા.લી.ને ૭૦ બસ આપવા ઉપરાંત અર્હમ ટ્રાન્સપોર્ટેશન અને આદિનાથ બલ્કને ૬૫-૬૫ બસ આપવા નિર્ણય કરાયો હતો.

૩૫૦૦ કરોડની મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યાર સુધીની લોનની મદદથી ચલાવાઈ રહેલી એ.એમ.ટી.એસ.માં ફરજ બજાવતા ૩૦ કંડકટરોને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્મશાનગૃહોમાં ફરજ બજાવવા હાજર થવા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે.કંડકટરો માટે કરવામાં ઓર્ડરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કંડકટરોએ આપેલા સ્વૈચ્છિક કબૂલાતનામા અને બાંહેધરીપત્રકને ધ્યાનમાં રાખી અન્ય હુકમ ના થાય ત્યાં સુધી તમામે ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.મેહુલ આચાર્યની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરવાની રહેશે.આ કંડકટરો ફરજ સ્મશાનમાં બજાવશે પરંતુ તેમનો પગાર  એ.એમ.ટી.એસ.ખાતેથી ચુકવવામાં આવશે.નોંધપાત્ર બાબત એ છે કે,આ અગાઉ પણ એ.એમ.ટી.એસ.માં કંડકટર અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની મ્યુનિ.ના ફાયર સહિત અન્ય વિભાગમાં ફાળવણી કરવામાં આવી છે.