Gujarat

કાલે શરદસંપાત દિવસ - રાત એક સરખા પછી દિવસ ટૂંકો, રાત લંબાશે

By GS Team
21 Sep 20222 mins read
This article was originally published on 21 Sep 2022
કાલે શરદસંપાત દિવસ - રાત એક સરખા પછી દિવસ ટૂંકો, રાત લંબાશે

દર વર્ષે બનતી ખગોળીય ઘટના શરદ સંપાતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો 12 - 12 કલાકનો સરખો રહેશે

રાજકોટ : આગામી 23 સપ્ટેમ્બર અને શુક્રવારના દિવસે વધુ એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. અને તે દિવસે રાત્રી અને દિવસ બન્ને સરખા થશે. આ દિવસે સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે અને ધીમે ધીમે દિવસ ટૂંકો થતો જશે, તેમજ રાત્રી મોટી થશે.

સૂર્ય હંમેશા એકની એક જગ્યા ઊગતો દેખાતો નથી, શિયાળામાં દક્ષિણ તરફ ખસીને ઊગતો દેખાય છે, જ્યારે ઉનાળામાં તે ઉત્તર તરફ ઊગતો દેખાય છે.   સૂર્ય જ્યારે રવિમાર્ગ ઉપર પોતાની દક્ષિણથી ઉત્તર તરફની વાષક યાત્રા તરફ આગળ વધે, ત્યારે એના મેષ રાશિ પ્રવેશ વખતે તે આકાશી વિષુવવૃતને એક બિંદુ આગળ છેદે છે. જેને વસંતસંપાત કહેવામાં આવે છે. આ ઘટના 21 માર્ચ આસપાસ બને છે. એ જ પ્રમાણે સૂર્ય જ્યારે રવિમાર્ગ  ઉપર પોતાની ઉત્તર થઈ દક્ષિણ તરફની વાર્ષિક યાત્રા તરફ આગળ  વધતાં એના તુલા રાશિ પ્રવેશ વખતે તે આકાશી વિષુવવૃતને એક બીજા બિંદુ પાસે છેદે છે. જેને શરદસંપાત કહેવાય છે. આ ઘટના 23 સપ્ટેમ્બરની આસપાસ બને છે. 

આથી 23  સપ્ટેમ્બર શરદસંપાતના દિવસોએ દિવસ અને રાત્રિની લંબાઈ સરખી હશે. એટલે કે સૂર્યાદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો સરખો અને 12 કલાકનો રહેશે. 23  સપ્ટેમ્બરના રોજ સૂર્ય બરાબર સાચી પૂર્વ દિશામાં ઉગશે ત્યારપછીના દિવસો દરમ્યાન સૂર્ય દક્ષિણ દિશા તરફ ખસીને ઊગતો દેખાશે. વધુમાં વધુ 23.5 અંશ દક્ષિણ તરફ ખસશે, તે દિવસ વર્ષનો ટુંકામાં ટુંકો દિવસ હોય છે. આ ઘટના 22 ડિસેમ્બરની આસપાસ હોય છે. શહેર જિલ્લાની ખગોળપ્રેમી જનતાએ આ અલૌકિક ખગોળીય ઘટનાની 23મી તારીખે સ્વયંભૂ અનુભૂતિ કરવા અનુરોધ કરાયો છે.