Get The App

સિંહોનાં મોત રોકવા વન તંત્ર હવે છે'ક લાયન લેન્ડસ્કેપમાં હોટસ્પોટ નક્કી કરશે

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
સિંહોનાં મોત રોકવા વન તંત્ર હવે છે'ક લાયન લેન્ડસ્કેપમાં હોટસ્પોટ નક્કી કરશે 1 - image

ટ્રેન બાદ હવે હાઇ-વે સિંહ- દીપડા માટે ગોઝારા બની રહ્યા છે  : ગાંધીનગરથી પ્રિ-સીસીએફ રૂબરૂ દોડી આવ્યા : 5 જિલ્લાના હાઇ-વે અધિકારીઓ સાથે વનવિભાગે બેઠક યોજી ઉકેલ શોધવા પ્રયાસ આદર્યો

 જૂનાગઢ, : ટ્રેન અકસ્માતમાં સિંહ-દીપડા મરવાનો સિલસિલો માંડ બંધ થયો ત્યાં હવે વાહન અકસ્માતમાં સિંહ-દીપડા ટપોટપ મરવા લાગ્યા છે. હવે આ અંગે વન વિભાગ સજાગ થયો હોય તેમ ગાંધીનગરથી ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન રૂબરૂ દોડી આવ્યા હતા. આજે સીએફ દ્વારા સ્ટેટ અને નેશનલ હાઇવેના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગના તમામ ડીસીએફ, એસીએફ, આરએફઓની બેઠક બોલાવી તાત્કાલિક હાઇવે નજીકના હોટસ્પોટ નક્કી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં લાયન લેન્ડસ્કેપમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાઇકોર્ટ ફરી ઊધડો લે તે પહેલાં જ વનતંત્ર સજાગ બની હવે દોડતું થયું છે.

ગત જાન્યુઆરી માસમાં જાફરાબાદ નજીક નેશનલ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાનુ વાહન અકસ્માતમાં મોત થયું છે. ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન જયપાલસિંહ ખુદ જાફરાબાદ, રાજુલા સહિતના નેશનલ હાઈવેની રૂબરૂ મુલાકાત માટે દોડી આવ્યા હતા. તેમના આદેશ બાદ વાઈલ્ડ લાઈફ સર્કલના સીએફ ડો. રામ રતન નાલાની અધ્યક્ષતામાં જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરના સ્ટેટ અને નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યપાલક ઇજનેર અને ચીફ ઇજનેરની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. તમામ અધિકારીઓએ સિંહોના મોત કેવી રીતે વાહન અકસ્માતમાં અટકાવી શકાય તે અંગે બે કલાક સુધી ચર્ચા કરી હતી. જેમાં સૌથી પહેલા સિંહ, દીપડાના હોટસ્પોટ નક્કી કરવા નિર્ણય લેવાયો હતો. એ થઈ ગયા બાદ ત્યાં ઓવર પાસ કે અંડર પાસ, સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ કે અન્ય શું થઈ શકે છે તે નક્કી કરવામાં આવશે. હોટસ્પોટ નક્કી થઈ ગયા બાદ કયા પ્રાણીની કેટલી માત્રામાં મૂવમેન્ટ છે તેના આધારે નેશનલ કે સ્ટેટ હાઈવે પર શું શું વ્યવસ્થા કરી શકાય તેના સ્પષ્ટ અભિપ્રાય સાથે વાઈલ્ડ લાઈફ સર્કલ દ્વારા દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવશે અને સરકાર દ્વારા હાઈવે ઓથોરિટીને આદેશ કરવાનો રહેશે. સરકારના આદેશ બાદ જ ત્યાં વાહનની ગતિ મર્યાદા નક્કી કરતા નિયમો બને તો જ અકસ્માતની ઘટના અટકી શકે તેમ છે.