Gujarat

સુરતમાં માર્ગ અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિના મોત

By GS Team
2 Jan 20222 mins read
This article was originally published on 2 Jan 2022
સુરતમાં માર્ગ અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિના મોત

(પ્રતિનિધિ દ્વારા) સુરત રવિવાર

પાંડેસરામાં સાત દિવસ પહેલા મોપેડના એંગલ સાથે સાડી ભેરવાતા પડી જતા ઇજા પામેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ઉધના રોડ પર શનિવારે સાંજે ટ્રકે ટક્કર મારતા ગંભીર ઈજા થતા આઘેડનું મોત થયું હતું. ત્રીજા બનાવમાં ઈચ્છાપોરમાં શનિવારે સવારે વૃદ્ધને બાઇકને ટક્કર મારતા મોતને ભેટયા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં કૈલાશ નગર પાસે ગીતાનગરમાં રહેતા ૪૫ વર્ષીય કુસુમબેન અમિતાભસિંગ પટેલ ગત તારીખ 27મી બપોરે તેમનો પુત્ર રાજન સાથે મોપેડ પર બેસીને પાન ગલ્લા સહિતના સામાન ખરીદી કરવા જતા હતા. તે સમયે પાંડેસરાના મારુતિ નગર તરફ રોડ પર મોપેડના પાછળ એંગલ સાથે કુસુમબેન નો સાડીનો છેડો ફસાઈ ગયો હતો. જેના લીધે કુસુમબેન નીચે પટકાતા જ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા .ત્યાં ગઈકાલે રાત્રે તેમનું મોત નિપજ્યું હતું.

નોંધનીય છે કે કુસુમબેન મૂળ બિહારના વતની હતા જોકે તેમના પતિ બીમાર હોવાથી કામ ધંધો નહીં કરી શકતા કુસુમબેન પાનનો ગલ્લો અને ચીજવસ્તુઓ વેચાણ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર જરીનું કામ કરે છે. પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં લિંબાયતમાં સંજય નગર સર્કલ પાસે રત્નપ્રભા સોસાયટીમાં રહેતા 5૦ વર્ષીય સંતોષભાઈ ભીખાભાઈ વાડેકર શનિવારે સાંજે ઉધના નવા ત્રણ રસ્તા ડીડોલી તરફ જતા રોડ પર ઉદ્યોગ નગર સંઘ ની પાછળ ના રોડ પર પગપાળા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જતા હતા. તે વેળાએ થરાદ ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઈજા થતા મોત થયુ હતું. જ્યારે સંતોષભાઈ ની સંતાનમાં બે પુત્ર છે. તે ડ્રાઇવિંગ કામ કરતા હતા આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં ઇચ્છાપોરના દામકા ગામમાં બ્રાહ્મણ ફળિયામાં રહેતા 65 વર્ષીય રમેશભાઈ નરસિંહભાઈ પટેલ શનિવારે સવારે દામકા ગામના માંડવી ફળિયા ચાર રસ્તા પાસે પગપાળા જતા હતા. તે સમયે તેમની બાઇકને ટક્કર મારતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.