Ahmedabad Sitapur News: ધૂળેટીના પવિત્ર તહેવાર પર ગુજરાતમાં પાંચ અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં 5 બાળકો સહિત કુલ 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. રાજ્યમાં નદી, તળાવ અને કેનાલમાં ડૂબવાની ઘટનાઓ બની છે. ધૂળેટી રમીને યુવકો-બાળકો નાહવા પડ્યા હતા.
અમદાવાદ: કોતરપુરમાં સાબરમતી નદીમાં ડૂબી જતાં ચારના મોત
ધૂળેટીના પર્વે અમદાવાદ શહેરમાં કરૂણ ઘટના બની છે. અમદાવાદના કોતરપુરમાં સાબરમતી નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા હતા. જેમાંથી ત્રણ યુવકોના પાણીમાં જ ડૂબી જતાં મોત થયા અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ચારેય યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહ બહાર કઢાયા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
અમદાવાદના સીતાપુર ગામે ત્રણ બાળકોના મોત
અમદાવાદના માંડલના સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી બાદ ઝોલાસર તળાવમાં 5 જેટલા બાળકો નાહવા પડ્યા હતા. આ દરમિયાન ત્રણ બાળકોના ડૂબી જતાં મોત થયા છે. જ્યારે અન્ય બે બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા. ઘટનાની જાણ હાંસલપુર પોલીસ મથકને થતાં પોલીસ તાત્કાલિક દોડી જઈ કાર્યવાહી કરી હતી. ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સીતાપુર સહિત સમગ્ર પંથકમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પરિવારોમાં અરેરાટી મચી જવા પામી છે ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.
મહીસાગરના રાઘવના મુવાડા ગામે ચાર યુવાનોના ડૂબી જતાં મોત
મહીસાગરના કોઠંબા નજીક આવેલા રાઘવના મુવાડા ગામે ધૂળેટી રમીને તળાવમાં નાહવા પડેલા 4 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ લુણાવાડાની રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એક જ ગામના 4 આશાસ્પદ યુવાનોના એકસાથે મોત થતાં આખું ગામ હિબકે ચઢ્યું.
મૃતકોની યાદી
1. અમિતભાઈ વિનોદભાઈ બારિયા
2. તુષારભાઈ રુઘનાથ બારિયા
3. વિપુલભાઈ જસવંતભાઈ બારિયા
4. જયદીપ ભાઈ જસવંત બારિયા
અરવલ્લીના માલપુરમાં બે પિતરાઈ ભાઈઓના કરૂણ મોત
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. ધૂળેટી રમીનેગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરણ 5 અને 6 માં અભ્યાસ કરતા આ માસૂમ બાળકોના મોતથી ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જેમને પોસ્ટમોર્ટમ અર્થે માલપુર CHC ખાતે ખસેડાયા છે.
ઘટનાની જાણ થતાં જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગને સક્રિય કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા બાદ ધારાસભ્ય પોતે સાર્વજનિક હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા અને પોસ્ટમોર્ટમ (P.M.) ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે દેખરેખ રાખી હતી.

સુરતમાં કીમ નદીમાં નાહવા ગયેલા 3 યુવાનોના મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસે પણ આવી જ એક ગમખ્વાર ઘટના બની છે. કીમ નદીમાં ધૂળેટીના દિવસે નાહવા ગયેલા ત્રણ મિત્રો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી સિંગ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાંથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢી કીમ PHC સેન્ટર ખાતે મોકલી આપ્યા છે. કોસંબા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં શેત્રુંજી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત
અમરેલીમાં ધૂળેટીના તહેવારની ઉજવણી વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક ધૂળેટી રમ્યાં બાદ શેત્રુંજી નદીમાં નાહવા માટે ગયો હતો, જ્યાં અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તહેવારના દિવસે જ આશાસ્પદ યુવકનું મોત થતા બહારપરા પંથક સહિત સમગ્ર અમરેલીમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
સુરતના બારડોલીમાં મિંઢોળા નદીમાં ચારના મોત
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મિંઢોળા નદીમાં 5 યુવકો ડૂબ્યા હતા. જેમાંથી ચાર યુવકોના ડૂબી જતાં મોત નિપજ્યાં છે. એક યુવકનો આબાદ બચાવ થયો છે. ઘટનાના પગલે ગામમાં શોકની લહેર પ્રસરી છે. ધૂળેટી પર યુવકો નદીમાં નાહવા પડ્યાં હતા.
મૃતકોની વિગત
1. ભૂમિત દિપકભાઈ મિસ્ત્રી - ઉં.વ.22 (બાબેન)
2. નિલસિંહ દિલિપસિંહ સોલંકી - ઉં.વ.21 (બાબેન)
3. અભિષેક ચૌધરી - ઉં.વ.21 (બાબેન)
4. કેશવ પાંડુરંગ સોનવણે - ઉં.વ.21 (બાબેન)

મહેસાણાના કડીના થોળ રોડ પર આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત
મહેસાણા જિલ્લાના કડીના થોળ રોડ પર સિંધવાઇ માતાજીના મંદિરની બાજુમાં આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત થયું છે. ધૂળેટી રમીને યુવક કેનાલમાં નાહવા પડતા અચાનક જ યુવક પાણીમાં ડૂબ્યો હતો. પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. ઘટનાને લઇ કેનાલની આજુબાજુ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મહેસાણાના મોટી દઉં કેનાલમાં ડૂબી જતાં 2ના મોત
મહેસાણાના મોટી દઉ ખાતે સુજલામ સુફલામ કાચી કેનાલમાં ચાર યુવકો ડૂબ્યા હતા. જેમાંથી બે યુવકોનો બચાવ થયો છે, જ્યારે અન્ય બે યુવકોના મોત નિપજ્યા છે.
આદિપુરમાં નર્મદા કેનાલમાં બે યુવકો ડૂબતા ચકચાર
સમગ્ર દેશ જ્યારે રંગોના પર્વ હોળીની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે કચ્છના આદિપુરમાં એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં માતમ છવાઈ ગયો છે. આદિપુરના શિણાય અને શનિ મંદિર પાસે આવેલી નર્મદા કેનાલમાં અલગ-અલગ બનાવોમાં બે યુવકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા જ આદિપુર અને અંજાર પોલીસનો કાફલો તેમજ GDMCની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. છેલ્લા બે કલાકથી વધુ સમયથી કેનાલમાં યુવકોને શોધવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સચોટ ભાળ મળી શકી નથી.


