Gujarat

વાવ પંથકમાં નર્મદા કેનાલ પર પ્રોટેક્શન દીવાલોની કામગીરી અધૂરી છોડી દેવાઈ

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
વાવ પંથકમાં નર્મદા કેનાલ પર પ્રોટેક્શન દીવાલોની કામગીરી અધૂરી છોડી દેવાઈ

પાલનપુર,તા.29

બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વાવ સુઇગામ વિસ્તારમાં કેનાલો વારંવાર કાગળની જેમ તૂટી રહી છે જેને લઈ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ વાવ ભ્રષ્ટ અધિકારીઓનાં પાપે અનેક જગ્યાઓ પર પ્રોટેક્શન દીવાલો અને જૂના સાયફનની જગ્યાએ નવા સાયફન બાંધવાની કામગીરીઓ પણ અધૂરી પડી છે જેને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ થરાદ અને સુઈગામ તાલુકામાં નર્મદાની કેનાલની પ્રોટેક્શન દીવાલો અને જૂના સાયફનની જગ્યાએ નવા સાયફન બાંધવાની કામગીરીઓ પણ અધૂરી પડી છે.ત્યારે નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ,માઇનોર કેનાલ અને સબમાઈનોર કેનાલ જ્યાં સાયફન તરીકે નાળા હતા ત્યાં નવાં આર.સી.સી.સાયફન બાંધવાની કામગીરીઓ ચાલુ બે વર્ષ અગાઉ કરી હતી હજુ કેટલાય સાયફન બાંધવાના બાકી છે . જુના સાયફનમાંથી કેનાલ ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી જવાથી ભારે નુકસાન થાય છે.ત્યારે શિયાળુ સિઝનને બે માસથી પણ વધારે સમય વીતવા આવ્યો છતાં પણ વાવ તાલુકાની અનેક કેનાલોમાં સિંચાઈ માટે પાણીનાં ધાંધિયા ખેડૂતો ભોગવી રહ્યાં છે.ત્યારે તખતપુરા નજીક પ્રોટેક્શન દીવાલની અધૂરી કામગીરીઓ મુદ્દે ખેડૂતોએ કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટરે જ્યાં જવું હોય તો જાઓ કહી ખેડૂતો પર જાણે રોફ જમાવતા હોય એવું જણાઈ રહ્યું છે.

સાયફન અને પ્રોટેક્શન દીવાલોની અધૂરી કામગીરીઓને કારણે અનેક કેનાલોમાં પાણી બંધ

હાલમાં રવિ સિઝનને લઈ રવિપાકોમાં પાણની તાતી જરૃરિયાત હોઈ સરહદી વાવ પંથકમાં સાયફન બાંધવાની અધૂરી કામગીરીઓ અને અનેક જગ્યાઓ પર પ્રોટેક્શન દિવાલનું અધૂરું કામ હોવાથી કેનાલમાં પાણી નહિ આવતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

પ્રોટેકશન દીવાલની અધૂરી કામગીરી અને સાયફન મુદ્દે આવેદન

વાવ તાલુકાનાં ચોટીલ ગામનાં ખેડૂતોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ચોટીલ ગામનાં ખેડૂતોએ જુના સાયફનમાંથી પાણીનો પ્રવાહ નહિ નીકળવાથી કેનાલ ઓવરફ્લો થાય છે.તો વળી પ્રોટેક્શન દિવાલનાં અભાવે ખેતરોમાં પણ પાણી ઘુસી જાય છે.ત્યારે ઉભા પાક નષ્ટ થઈ જાય છે. સત્વરે અધૂરી કામગીરીઓ પૂર્ણ કરવામાં આવે તેવું ચોટીલનાં જેવતાભાઈ કુંભારે જણાવ્યું હતું.

એક જ જગ્યાએ બીજી વખત ગાબડું પડતાં ખેડૂતોને ભારે નુકસાન

સરહદી વાવ વિસ્તારમાં બનાવેલ કેનાલોમાં પાણી છોડતાની સાથે જ તૂટી જાય છે.પરિણામે ખેડૂતોનાં ઉભા પાકમાં પાણી ફરી વળે છે.ત્યારે ગત મધ્યરાત્રીએ માવસરી માઇનોર ત્રણમાં ગાબડું પડતાં સ્થાનિક ખેડૂતોને નુકશાન થયું હોવાનું માવસરીનાં રૃડાંભાઈ રબારીએ જણાવ્યું હતું.