Gujarat

માધાપર ચોકડીએ બંધાઈ રહેલા બ્રિજનો પિયરનો ટોપ ધસી પડયો

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
માધાપર ચોકડીએ બંધાઈ રહેલા બ્રિજનો પિયરનો ટોપ ધસી પડયો

રાજકોટમાં કાયમી ટ્રાફિક જામવાળા ચોકમાં દુર્ઘટના : વર્કમેનશીપમાં બેદરકારી, બેને સાધારણ ઈજા: 70  કરોડના ખર્ચે 1200 મી.  બ્રિજનું 45 ટકા કામ પૂર્ણ પણ જમીન સંપાદન બાકી હોઈ શ્રમિકોને સંકડાશ 

રાજકોટ, : રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ  દ્વારા રાજકોટમા જ્યાં કાયમી ટ્રાફિક જામ રહે છે તેવા ધમધમતા દોઢસો ફૂટ રીંગરોડ પર માધાપર ચોક ખાતે બની રહેલા બ્રિજના કામ દરમિયાન 24 પૈકી એક પિયર (મોટા કદનો પીલર) ઉપર કોંક્રિટની કેપની કામગીરી ચાલુ હતી ત્યાં આ ભાગ ધસી પડયો હતો અને મોટી દુર્ઘટના સ્હેજમાં અટકી હતી. 

પ્રાથમિક તપાસમાં બ્રિજના કામમાં વર્કમેનશીપ જળવાઈ નહીં હોવાના કારણે દુર્ઘટના બન્યાનું તારણ નીકળ્યું છે પરંતુ, માલ મટીયરીલ્સમાં ગુણવત્તા પણ તપાસનો વિષય છે. બ્રિજ જેના પર ઉભો રહે છે તેવા પિયર ઉપરના બોક્સ ગર્ડરમાં ગત સાંજે કોંક્રિટનું ભરવામાં આવી રહ્યું હતું અને વીસેક ટકા માલ ભરાયો ત્યાં સેન્ટ્રીંગના લોખંડના ત્રાપા-ટેકા ફસકી જતા એ ભાગ ધરાશાયી થયોહતો. જેમાં બે શ્રમિકોને ઘસરકાથી ઈજા થયાનું જણાવાયું છે. સદભાગ્યે નીચે કાઈ હતું નહીં તેથી જાનહાનિ અટકી છે. ઘટના બાદ રાત્રિના મોડે સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઈજનેરો સ્થળ પર દોડી ગયા હતા. 

માર્ગ મકાન વિભાગના સૂત્રો અનુસાર સેન્ટરીંગ પછી સિમેન્ટ કોંક્રિટનો માલ અંદર ભરાઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી હિટાચી કે અન્ય કોઈ વાહનનો ભાગ અડકી જતા અકસ્માતથી આ ભાગ ધસી પડયો છે. રૂ।. 70 કરોડના ખર્ચે બનતા 1200 મીટર લંબાઈના આ હાઈલેવલ બ્રિજમાં કૂલ 24 પિયર છે અને 16 પિયરનું કામ થયું છે, હજુ સ્લેબનું કામ શરૂ થયું નથી. 

બીજી તરફ, આ સ્થળે બ્રિજ કામગીરી માટે જરૂરી જમીન સંપાદનની કામગીરી હજુ થઈ નથી. ઈજનેરી સૂત્રો અનુસાર આ કારણે કારીગરો,મજુરોને સંકડાશમાં કામગીરી કરવી પડે છે.