Gujarat

વિદ્યાર્થીઓને પાણી અને ભોજનના પણ ફાંફા : બંકરમાં છાત્રોએ આશરો લીધો

By GS Team
27 Feb 20222 mins read
This article was originally published on 27 Feb 2022
વિદ્યાર્થીઓને પાણી અને ભોજનના પણ ફાંફા : બંકરમાં છાત્રોએ આશરો લીધો

હિંમતનગર તા. 26

રશિયા અને યુક્રેન વચ્ચે ખેલાઈ રહેલા ભીષણ યુધ્ધની માઠી અસરો ખારકીવ શહેરમાં દેખાઈ રહી છે. ખારકીવ શહેરમાં યુક્રેનની મહત્વની મેડિકલ અભ્યાસ માટેની યુનિવર્સીટીઓ હોઈ સાબરકાંઠા સહિત ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ હાલમાં યુનિવર્સીટી હોસ્ટેલના બંકરમાં ભયજનક સ્થિતિમાં ક્ષણો વિતાવતા સાબરકાંઠાના ખારકીવમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતિત બન્યા છે. 

યુક્રેનના ખારકીવ શહેરની મેડિકલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા ફૈઝાન મેમણના પિતા ઈમ્તીયાઝભાઈએ જણાવ્યુ હતુ કે યુધ્ધ શરૂ થયા બાદ ફૈઝાને વિડીયો કોલીંગના માધ્યમથી અહિના કેટલાક વિસ્તારોમાં થતા ધડાકાઓને સાંભળી બીક લાગતી હોવાનુ જણાવતા પરિવારને ચિંતા થઈ રહી છે. વિદ્યાર્થીઓ બંકરમાં આશરો લઈ મોબાઈલ લાઈટના અજવાળે જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે જયારે વિદ્યાર્થીઓને પીવાનુ પાણી પણ બહારથી વેચાતુ લાવવુ પડે છે. તેવી જ રીતે હિંમતનગરના ભાવેન્દ્રસિંહ ચૌહાણના પિતા દિલીપસિંહ ચૌહાણે પણ પોતાના દિકરા સહિત અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના બંકરમાં દહેશત ભરી સ્થિતિમાં ક્ષણો ગુજારી રહ્યા હોવાની માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે બંકરમાં લાઈટના અભાવે હિટરની વ્યવસ્થા પણ ન હોઈ અહિં માઈનસ ડીગ્રીમાં કડકડતી ઠંડીને કારણે વિદ્યાર્થીઓની ફિઝીકલ હાલત પણ હવે કપરી બનતી જાય છે જેથી ભારતની એમ્બેસીએ ખારકીવમાં ફસાયેલા તબીબી વિદ્યાર્થીઓ માટે ત્વરીત ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાવી તેમને સ્વદેશ લાવવા આયોજન કરવુ જોઈએ.

ખારકીવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ખારકીવથી પોલેન્ડ અને રોમાનીયા જવા માટે કોઈ વાહન વ્યવસ્થા ઉપલબ્ધ નથી. ઉપરાંત ખારકીવના વિદ્યાર્થીઓને હોસ્ટેલ કેમ્પસમાંથી બહાર નિકળવા માટે યુનિવર્સીટીના સત્તાવાહકોએ મનાઈ ફરમાવતા તેઓ પોલેન્ડ કે રોમાનીયાની સરહદ સુધી પહોંચવા સફળ બન્યા નથી. રોમાનીયા અને પોલેન્ડની સરહદે પહોંચવા માટે ઓછામાં ઓછો ૧૨ થી ૧૫ કલાકનો સમય લાગે, તદઉપરાંત આ બન્ને દેશોની સરહદ સુધી પહોંચવા યુક્રેનની રાજધાની કીવ થઈને જ જવુ પડે. જયાં હાલમાં રશીયા અને યુક્રેનની સેના વચ્ચે ભીક્ષણ યુધ્ધ ખેલાઈ રહ્યુ છે ત્યારે  પહોંચવાનુ અસક્ય બન્યુ છે.