Gujarat

એક સ્નેક ટેબલેટનો ધૂમાડો ૪૬૨ સિગારેટ પીવા જેટલો થાય છે

By GS Team
2 Nov 20212 mins read
This article was originally published on 2 Nov 2021
એક સ્નેક ટેબલેટનો ધૂમાડો ૪૬૨ સિગારેટ પીવા જેટલો થાય છે

અમદાવાદ,2 નવેમ્બર,2021,મંગળવાર 

નાના બાળકોમાં સોફ્ટ દારુખાના તરીકે ફેમસ સ્નેક ટીકડીમાંથી નિકળતો ધૂમાડો ૪૬૨ સિગારેટ પીવા બરાબર થાય છે. તેની આસપાસ ૨૫૮૦ આંક જેટલું પ્રદૂષણ ફેલાય છે. દારુખાનાના કારણે નિકળતો ધૂમાડો,ધ્વની જીવ જંતુ અને વનસ્પતિને અસર કરે છે. ઇન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ મુજબ એક ફૂલઝડી સળગાવવાથી થતું નુકસાન ૭૪ સિગારેટ પીવા બરાબર છે. જયારે હજાર ટેટા ધરાવતી એક લૂમ ફોડવાથી ૪૬૪ સિગારેટ ફૂંકવા જેટલું વાયુ પ્રદૂષણ ફેલાય છે.   દર વર્ષે ફટાકડાની ફેકટરીમાં કામ કરતા ૨૦ થી ૨૫ લોકોના અક્સ્માતથી મોત થાય છે. 


નાઇટ્રોજન ડાયોકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ અને કાર્બન ડાયોકસાઇડ જેવા હાનીકારક પ્રદૂષકોથી દમ અને બ્રોન્કાઇટિંસ જેવી શ્વાસ સંબંધી બીમારી થાય છે. તેમાં તાંબા, કેડેનિયમ, સીસા, મેગ્નેશિયમ,જસત અને સોડિયમ જેવા ઘટકોના કારણે ફટાકડા ફોડવાથી ઝેરી વાયુઓ હવામાં ઉમેરાય છે. દિવસમાં અવાજના પ્રદૂષણનું માપ ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ હોય તે જરુરી છે. માણસો તથા પ્રાણી ૭૦ ડેસિબલ સુધીનો અવાજ સહન કરી શકે છે. એક નાની લવિંગ્યા ટેટાની લૂમનું પ્રદૂષણ ૩૪ સિગારેટ પીવા જેટલું થાય છે. 


આનંદની ક્ષણોમાં ફટાકડા ફોડવાની પરંપરા આમ તો જુની છે પરંતુ કેમિકલ્સના વધતા જતા પ્રયોગો પછી જોખમ વધતા જાય છે. કૌટીલ્યના અર્થશાસ્ત્રમાં અગ્નિ ચૂર્ણનું વર્ણન મળે છે જે ઝડપથી આગ પકડે છે. આ ચૂર્ણને પાઇપમાં નાખવાથી ફટાકડો બની જાય છે. મોગલોના જમાનામાં દિવાળી તહેવારના ચિત્રોમાં દારુખાનું જોવા મળે છે. દારુગોળા અને ફટાકડાની શોધનો જશ આમ તો ચીનને ફાળે જાય છે  પરંતુ ઇસ ૧૨૭૦માં સિરીયાના રસાયણશાસ્ત્રી હસન અલ રમ્માહના પુસ્તકમાં પ્રથમ વાર ઉલ્લેખ થયો હતો.જેમાં બારુદને ગરમ પાણીમાં શુદ્ધ કરીને વધુ વિસ્ફોટ બનાવવાની વાત કહી હતી.