Jamnagar Crime : જામનગર શહેરમાં ગઈકાલે મળી આવેલા અજ્ઞાત યુવાનના મૃતદેહના પ્રકરણમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તેની હત્યા થઈ હોવાનું જાહેર થયું છે, તેમજ મૃતક યુવાનની ઓળખ પણ થઈ ગઈ છે. મૃતક નેપાળી યુવાન હોવાનું તેમજ તેના મિત્રએ હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના પિતાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. આ ઉપરાંત મૃતક યુવાને પણ ચાર ચાર લગ્ન કર્યા હોવા છતાં ચારેય પત્નીઓને છોડીને રખડતું ભટકતું જીવન જીવતો હોવાનું પણ જાહેર થયું છે.
ઉપરોક્ત હત્યા કેસમાં પોલીસે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. મૃતકની ઓળખ તપેન્દ્ર સાઉદ (ઉંમર 28) અને નેપાળી તરીકેની ઓળખ થઈ છે, તેના પિતા શંકર સાઉદ નેપાળીએ પોતાના પુત્રને ઓળખી બતાવ્યો હતો, અને તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું જણાવીને તેમણે મૃતક તપેન્દ્રના મિત્ર એવા રાકેશ ઉર્ફે રામું છેત્રી નામના નેપાળી શખ્સએ પોતાના પુત્રના માથા પર પથ્થર જીકી પગમાં પણ ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાનું જાહેર કર્યું છે. જે ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરીયાદ મુજબ, મૃતક શિવા ઉર્ફે તપેન્દ્ર પરમદીને સાંજે પોતાના મિત્રનું એક્ટિવા સ્કૂટર લઈને બહાર નીકળ્યો હતો, અને ત્યારબાદ ગુમ થઈ ગયો હતો. પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરતા કુબેર પાર્ક પાસે નદી કિનારે તેની લાશ મળી આવી હતી.
મૃતદેહની હાલત પરથી સામે આવ્યું કે તપેન્દ્રના માથાના ભાગે ભારે પથ્થરના ઘા મારવામાં આવ્યા હતા, અને બન્ને પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઘટના સ્થળેથી લોહી લાગેલો પથ્થર પણ મળી આવ્યો હતો, જ્યારે નજીકમાં નદીમાં સ્કૂટર પડેલું જોવા મળ્યું હતું.
આ સમગ્ર બનાવમાં મૃતકના મિત્ર રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદ પર શંકા વ્યક્ત કરવામાં આવ્યા બાદ પોલીસની ત્વરિત ઘનિષ્ઠ તપાસના અંતે મૃતકના પિતાની ફરીયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધાયો છે અને આરોપીની શોધખોળ માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મૃતક તપેન્દ્ર ચાર લગ્ન કર્યા હોવા છતાં પોતાની પત્નીઓને છોડી એકલા ભટકતું જીવન જીવતો હતો. આ પાસાંને પણ પોલીસે તપાસમાં સામેલ કર્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે અને બનાવના તમામ પાસાઓની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


