સમા વિસ્તારમાં રહેતા અજીતસિંહ પરમારે તેમના ભાઈ હિતેન્દ્રસિંહના શંકાસ્પદ મોત અંગે પોલીસ કમિશ્નર સમક્ષ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને હત્યાનો ગુનો દાખલ કરવા માગ કરાઈ છે.
લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ૨૧ ફેબુ્રઆરીએ હિતેન્દ્રસિંહ પરમારનું અગોરા મોલ ખાતે ત્રીજા માળેથી પડી જવાથી મોત થયું છે. આ મામલે સમા પોલીસ સ્ટેશને હત્યાની દિશામાં તપાસ કરી નથી.
સયાજી હોસ્પિટલમાંથી મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ દસ્તાવેજી પુરાવા અને વિડિયો ફૂટેજના આધારે પરિવારને શંકા છે કે હિતેન્દ્રસિંહ પર પહેલા હુમલો કરાયો હતો. ત્યારબાદ તેને સીડીઓ પરથી ઢસડવામાં આવ્યો હતો અને હુમલાખોરોથી બચવા ભાગતા સમયે તે નીચે પડી જતા તેનું મોત થયું હોવાનું પરિવાર માની રહ્યો છે.
પરિવારજનોએ વધુમાં ઉમેર્યું કે ઘટના સમયે તે જ માળે અન્ય લોકો હાજર હતા, છતાં કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. તપાસમાં પોલીસ દ્વારા હિતેન્દ્રસિંહ ચોરી કરીને ભાગી રહ્યો હોવાનું જણાવાયું છે, જોકે અગોરા મોલમાં ચારેતરફ સીસીટીવી કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આવી ઘટના શક્ય નથી તેવું પણ જણાવાયું છે.


