AMC budget News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ચાલતા લોલમલોલની સ્થિતિ બજેટ બેઠકમાં બહાર આવી હતી. છેલ્લા વીસ વર્ષથી શહેરમાં એસ.સી. અને એસ.ટી.ની કયાં કેટલી વસ્તી છે તેનો કોઈ સર્વે કરાવ્યા વગર જ બજેટ ફાળવાતુ હોવાનો આક્ષેપ કરાયો હતો.
વિપક્ષે કહ્યુ, સર્વે જ કરાયો નથી તેમ છતાં વર્ષ 2026-27ના બજેટમાં રુપિયા 3761 કરોડની ફાળવણી કરી છે પણ તેને વાપરશો કયાં અને કેવી રીતે કરાશે આ મુદ્દે સત્તાધીશોએ મૌન સેવી લીધુ હતું.
બજેટ બેઠકમાં વિપક્ષ તરફથી આક્ષેપ કરાયો કે, વર્ષ 2006-07ના મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરની 11 ટી.પી.સ્કીમ કે જેમાં એલિસબ્રિજ,દરિયાપુર-કાઝીપુર, સીટી વોલ ઈમ્પ્રુવમેન્ટ, અસારવા,રાજપુર-હીરપુર ઉપરાંત રખિયાલ,અમરાઈવાડી, બાપુનગર, અસારવા એકસ્ટેન્શન ઉત્તર અને દક્ષિણ તેમજ શહેરકોટડા, સારંગપુર, સુએઝ ફાર્મ, અને વાડજમાં ચાલીઓ અને ઝૂંપડાવાસીઓનુ પ્રમાણ વધુ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. વીસ વર્ષ પછી વર્ષ 2026-27ના બજેટમા પણ આ જ સ્થિતિ તમે દર્શાવી રહ્યા છો. તમારે કુલ બજેટની કેટલીક ચોકકસ રકમ આ બંનેની વસ્તી હોય તેવા વિસ્તારોમાં વિકાસકામો માટે ફાળવવી પડે એનો પણ તમે કોઈ ઉલ્લેખ કરતા નથી. આ ખુબ ગંભીર બાબત કહી શકાય.


