નર્મદા વિભાગમાં લોલંલોલ ઃ કટુડા-રાજસીતાપુરની માઇનોર
૨૫ લાખના ખર્ચે બાવળ દૂર કરવાની કામગીરીમાં કરોડોના ખર્ચે બનેલી કેનાલ તોડી નંખાતા ખેડૂતોમાં રોષ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના કટુડાથી રાજસીતાપુર વચ્ચેની ૩ કિમી લાંબી માઇનોર કેનાલમાં ૨૫ લાખના ખર્ચે બાવળ કટીંગ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલ જ ઉખેડી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. ૧૨ વર્ષથી બિનઉપયોગી કેનાલને રીપેરીંગના નામે હવે ફરી ૮૦ લાખનું આંધણ કરવાની તૈયારી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની કામગીરી સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે. સુરેન્દ્રનગરના કટુડા ગામથી રાજસીતાપુર સુધી પસાર થતી ૩ કિમી લાંબી માઇનોર કેનાલ, જે ૧૨ વર્ષ પહેલા ખેડૂતોની કીમતી જમીન સંપાદન કરીને બનાવવામાં આવી હતી, તેને સફાઈના નામે તોડી પાડવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘાટ સર્જાયો છે.
નર્મદા વિભાગ દ્વારા આ કેનાલમાં ઉગેલા બાવળ અને ઝાડ દૂર કરવા માટે ૨૫ લાખ રૃપિયાનું ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટ એજન્સીએ જેસીબી મશીનો વડે બાવળ કાપવાની લ્હાયમાં આખી કેનાલના સ્ટ્રક્ચરને જ અનેક જગ્યાએથી ઉખાડી નાખ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ કેનાલ બન્યાને ૧૨ વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા તેમાં એક પણ વખત પાણી છોડવામાં આવ્યું નથી. ખેડૂતોને સિંચાઈનો કોઈ લાભ મળ્યો નથી, ત્યાં હવે બનેલી કેનાલ પણ ખંડેર જેવી હાલતમાં મુકાઈ ગઈ છે.
આ મામલે ગામના સરપંચના પતિ શક્તિસિંહ ઝાલાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'તંત્ર દ્વારા કરોડો રૃપિયાના આંધણ કરવામાં આવે છે પણ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ ગંભીર છે. જો આવી તૂટેલી કેનાલમાં પાણી છોડાશે તો ખેડૂતોના ખેતરો ધોવાઈ જવાની ભીતિ છે.'
નર્મદા વિભાગ હવે ૮૦ લાખના ખર્ચે કેનાલનું રિનોવેશન કરશે
બીજી તરફ, સરપંચ અને ગામના આગેવાનોએ નર્મદા વિભાગના અધિકારી રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે સ્વીકાર્યું હતું કે બાવળ કટીંગમાં કેનાલને નુકસાન થયું છે, અને હવે તેના રીનોવેશન માટે ટૂંક સમયમાં ૮૦ લાખથી વધુનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે. આમ, તંત્રની બેદરકારીના કારણે સરકારી નાણાંનો વેડફાટ થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


