Get The App

જૂનાગઢ પંથકમાં ધમધમતા સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
જૂનાગઢ પંથકમાં ધમધમતા સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ 1 - image

આપના નેતાઓએ પકડેલ દૂધનો ડમ્પિંગ સાઈટ ખાતે નાશ કરાયો

દૂધના ટેન્કરને પોલીસ સ્ટેશને લઈ ગયા, ફુડ વિભાગે છ મહિને રિપોર્ટ આવશે તેવું કહેતા ખાનગી કીટમાં ટેસ્ટીંગ કરવું પડયું 

જૂનાગઢ: સમગ્ર ગુજરાતમાં સફેદ દૂધનો બેરોકટોક કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ફુડ વિભાગની બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. આપના નેતા દ્વારા નકલી દૂધ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે વિસાવદર પંથકમાંથી ભરાયેલું દૂધનું ટેન્કર જૂનાગઢમાંથી પકડી લેવામાં આવ્યું, પકડયા બાદ  પોલીસને સોંપી ફુડ વિભાગને જાણ કરવામાં આવી, ફુડ વિભાગે છ માસ બાદ રિપોર્ટ આવે તેવો ઉડાવ જવાબ આપતા સ્થળ પર જ આપના નેતાઓની ટીમ દ્વારા તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ રિપોર્ટમાં દૂધ ભેળસેળયુક્ત હોવાનો રિપોર્ટ આવ્યો છે. બાદમાં શંકાસ્પદ દૂધને મનપાની ડમ્પિંગ સાઈટે નીકાલ કરવો પડયો હતો.

દૂધ માફિયાઓને સરકાર કે તંત્રનો કોઈ ડર ન જ રહ્યો નથી. દરરોજ લાખો લીટર બોગસ દૂધ બનાવી ડેરીઓમાં ધાબડી દેવામાં આવે છે. આપના નેતા યુવરાજસિંહે થોડા સમય પહેલા જેતપુર પંથકમાંથી દૂધનું ટેન્કર પકડયું હતું તેના રિપોર્ટમાં બોગસ દૂધ હોવાનું ખુલ્યું હતું. આ ઘટના બાદ પણ બેરોકટોક દૂધનો કાળો કારોબાર ચાલતો હતો. આમ આદમી પાર્ટીની ટીમને બાતમી મળી હતી તે મુજબ આજે સવારે જૂનાગઢના સરદાર ચોક નજીકની લાયબ્રેરી પાસે દૂધનું ટેન્કર રોક્યું હતું. આ ટેન્કર વિસાવદર તાલુકાના લેરીયા ગામના જેઠાભાઈ ભરવાડને ત્યાંથી ભરાઈને આવ્યું હોવાનો દાવો કરાયો હતો. આ દૂધનું ટેન્કર જૂનાગઢની ગિરનાર સોરઠ ડેરીમાં જતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ટેન્કરને સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આપના આગેવાનોએ ફુડ વિભાગને જાણ કરી હતી. 

ફુડ વિભાગના અધિકારીઓ ત્યાં આવી દૂધનો નમૂનો લઈ કહ્યું હતું કે, આ દૂધનો રિપોર્ટ છ માસ બાદ આવશે. દૂધના સેમ્પલને તપાસ અર્થે વડોદરા મોકલવામાં આવશે. જૂનાગઢ ફુડ વિભાગની ટેસ્ટિંગ વાન રિપેરીંગ અર્થે રાજકોટ ગેરેજમાં છે જેથી રિપોર્ટ થઈ શકશે નહી. આવા વાહિયાત જવાબથી આપની ટીમ દ્વારા દૂધની તપાસ કરવા માટે ટેસ્ટિંગ કીટ સાથે હતી તે કીટ વડે દૂધની તપાસ કરવામાં આવી હતી જેમાં દૂધમાં મોટા પ્રમાણમાં ડિર્ટજન્ટ, યુરીયા સહિતના અનેક કેમિકલ મિશ્રણ કરવામાં આવ્યા છે અને દૂધ પીવા યોગ્ય નથી તેવો રિપોર્ટ આવ્યો હતો. બાદમાં પોલીસ અને ફુડ વિભાગને શંકાસ્પદ દૂધનું ટેન્કર સોંપી આપના નેતાઓ નીકળી ગયા હતા. ફુડ વિભાગ દ્વારા શંકાસ્પદ દૂધને મનપાની ડમ્પિંગ સાઈટ ખાતે નાશ કરવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, જે દૂધનો ડમ્પિંગ સાઈટ ખાતે નાશ કરાયો તે ખરેખર અયોગ્ય હતું ? તો હવે કોની સામે શું કાર્યવાહી થશે તે એક સવાલ છે. આ અંગે ફુડ વિભાગના અધિકારીએ પોતે સક્ષમ ન હોવાથી કંઈપણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. આપના નેતાએ ચિમકી ઉચ્ચારી હતી કે, બોગસ દૂધ પકડવાનું કામ ચાલું જ રાખવામાં આવશે. સરકારને લોકોના આરોગ્યની કંઈ પડી નથી જેથી અમોએ મેદાનમાં આવવું પડે છે.

૧૪ દિવસમાં પરિક્ષણ થઈ જવાના નિયમનો ભંગ થાય છે

આ અંગે યુવરાજસિંહે દાવો કર્યો હતો કે, ફુડ વિભાગના નિયમો મુજબ ૧૪ દિવસમાં જે નમૂના લીધા હોય તેનો રિપોર્ટ તૈયાર થઈ જવો જોઈએ, આ નિયમનું ખુદ ફુડ વિભાગ જ પાલન કરતું નથી કેમ કે છ-છ માસ સુધી રિપોર્ટ ન આવે તો તેનો મતલબ શું રહે ?

ફુડ વિભાગને મિલ્ક ટેસ્ટ કીટ ભેટ અપાઈ

આજે જે મિલ્ક ટેસ્ટિંગ કીટ વડે દૂધની તપાસ કરવામાં આવી તે કીટ પણ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ફુડ વિભાગને ભેટ આપવામાં આવી હતી. ભેટ આપી આગેવાનોએ જણાવ્યું હતું કે, હવે ક્યારેય ફુડ વિભાગને જરૂર પડે તો આ કીટનો જૂનાગઢ પંથકના લોકોના આરોગ્ય ખાતર ઉપયોગ કરી શકે. છ-છ મહિને રિપોર્ટ આવે ત્યારે આવા બોગસ દૂધથી કેટલાય માણસોની જીંદગી જોખમમાં મુકાઈ જાય છે. બાદમાં રિપોર્ટનો શું મતલબ ? જ્યારે જનતા રેડથી આવું બોગસ દૂધ કે અન્ય અખાદ્ય પદાર્થ પકડાય તો ફુડ વિભાગના જવાબદારો સામે દાખલારૂપ કામગીરી થવી જોઈએ તેવી માંગ કરી છે.