Get The App

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ 1 - image

- 26 દાવેદારોએ કોર્ટમાં બાયોડેટા રજૂ કર્યા

- નડિયાદના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ સમક્ષ નામાંકન પત્રો ભરાયા : યોગ્ય ઉમેદવારની પસંદગી થશે 

ડાકોર : યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના વહીવટ માટે મહત્વના એવા ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક માટેની પ્રક્રિયા શનિવારે નડિયાદ ખાતે હાથ ધરવામાં આવી હતી. મંદિરના કરોડો રૂપિયાના કારોબારને સંભાળવા માટે કુલ ૨૬ જેટલા લાયકાત ધરાવતા ઉમેદવારોએ નડિયાદના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં પોતાના ડોક્યુમેન્ટ્સ અને બાયોડેટા સાથે દાવેદારી નોંધાવી છે.

ડાકોર ટેમ્પલ કમિટીની જોગવાઈ અનુસાર, મંદિરના સુચારુ કાર્યભાર માટે કુલ પાંચ ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની હોય છે. જે પૈકી બે ટ્રસ્ટીઓની નિમણૂક અગાઉ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ત્રીજા ટ્રસ્ટી માટે ડાકોર ટેમ્પલ કમિટીના ઇન્ચાર્જ દ્વારા જાહેર નિવિદા આપવામાં આવી હતી. જેના પ્રતિસાદરૂપે શનિવારે ૨૬ વ્યક્તિઓએ ધારાશાસ્ત્રીઓ મારફતે પોતાના નામાંકન પત્રો રજૂ કર્યા હતા. મંદિરના ટ્રસ્ટી મંડળમાં એક ટ્રસ્ટી તાંબેકર પરિવારમાંથી આજીવન સભ્ય તરીકે હોય છે. એક ટ્રસ્ટીની નિમણૂક સેવક આગેવાનોમાંથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કરવામાં આવે છે. મંદિરમાં પાંચ ટ્રસ્ટીઓ પૈકી ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યામાં ત્રીજા ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવા માટે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ત્રીજા એડિશનલ જજ સાહેબની કોર્ટમાં આજરોજ ૨૬ નામાંકન ભરાયા હતા. કોર્ટમાં રજૂ થયેલા ૨૬ ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સ, તેમની લાયકાત, સમર્થન અને અભિપ્રાયોની આગામી તારીખોમાં ઝીણવટભરી છણાવટ કરવામાં આવશે. ત્યારબાદ યોગ્ય વ્યક્તિની ત્રીજા ટ્રસ્ટી તરીકે વરણી કરાશે.