Surat : સુરત શિક્ષણ સમિતિની શાળા શરૂ થતાંની સાથે જ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ફરી એકવાર ભણાવવા કરતાં બીજા કામ કરવાની ફરજ પડી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવા વચ્ચે શિક્ષકોને વસ્તી ગણતરી, પુસ્તક વિતરણ, સ્વચ્છતા ઝુંબેશ, પ્રવેશોત્સવ અને હવે ધોરણ 10-12ની પૂરક પરીક્ષાના સુપરવિઝનમાં જોતરી દેવામાં આવ્યા છે. હજુ વિદ્યાર્થીઓના હાથમાં તમામ પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી અને નિયમિત અભ્યાસ પણ શરૂ થયો નથી, ત્યાં જ 125 શિક્ષકોને પરીક્ષા ફરજના ઓર્ડર આપી દેવાતા વર્ગખંડ કરતાં તંત્રના શહેરમાં શિક્ષકો વધુ વ્યસ્ત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સમિતિના શિક્ષકો માટે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવાની જવાબદારી સંભાળતા શિક્ષકોને ફરી એકવાર શિક્ષણ કરતાં વધુ બિન-શૈક્ષણિક ફરજોનું ભારણ સોંપવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. બીજી તરફ શિક્ષકો સામે શૈક્ષણિક કામગીરી કરતાં વધુ વહીવટી અને બિન-શૈક્ષણિક જવાબદારીનો ઢગલો ઉભો થઈ ગયો છે. આગામી દિવસોમાં તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, ગણવેશ તેમજ બુટ-મોજા નું વિતરણ કરવાની કામગીરી શિક્ષકોને જ સંભાળવાની રહેશે. સાથે જ પ્રવેશોત્સવ અને સ્વચ્છતા અભિયાન જેવી પ્રવૃત્તિઓમાં પણ તેમની ફરજ નક્કી કરવામાં આવી છે. આ તમામ કામગીરી વચ્ચે શિક્ષકોને રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ વસ્તી ગણતરીની કામગીરી માટે પણ તૈયાર રહેવું પડશે. શિક્ષણ અને વસ્તી ગણતરી વચ્ચે સમયનું સંતુલન સાધવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે વધુ એક જવાબદારી તરીકે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાના સુપરવિઝનની ફરજ શિક્ષકોના ખભા પર મૂકવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સમિતિના અંદાજે 125 શિક્ષકના ઓર્ડર કાઢવામાં આવ્યા છે.
આ શિક્ષકોને પરીક્ષા કામગીરી પહેલાં તાલીમમાં પણ હાજર રહેવું પડશે.શિક્ષણ સમિતિની શાળાઓ પહેલેથી જ શિક્ષકોની અછત અને વિવિધ વહીવટી પડકારો વચ્ચે સંચાલિત થઈ રહી છે. આવા સંજોગોમાં મોટી સંખ્યામાં શિક્ષકો પૂરક પરીક્ષાની ફરજ માટે શાળાથી બહાર રહેશે તો વર્ગખંડમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધુ ઘટી શકે છે. પરિણામે નવા સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસથી જ શિક્ષકોને અનેક ફરજોના ચક્રવ્યૂહમાં ધકેલી દેવામાં આવ્યા હોવાથી સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ વચ્ચે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પૂરતો સમય અને માર્ગદર્શન કોણ આપશે? જો શિક્ષકોનો મોટો હિસ્સો બિન-શૈક્ષણિક કામગીરીમાં જ વ્યસ્ત રહેશે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરિણામો પર પડશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. શિક્ષણજગતમાં ચર્ચા છે કે શિક્ષકોને વારંવાર બિન-શૈક્ષણિક અને પરીક્ષા સંબંધિત ફરજોમાં જોડવાને બદલે શિક્ષણ કાર્યને પ્રાથમિકતા આપવાની જરૂર છે.


