Gujarat

અડધુ શૈક્ષણિક વર્ષ પુરુ થઈ ગયુ પણ વડોદરાની સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક થઈ નથી

By GS Team
14 Nov 20212 mins read
This article was originally published on 14 Nov 2021
અડધુ શૈક્ષણિક વર્ષ પુરુ થઈ ગયુ પણ વડોદરાની  સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક થઈ નથી

વડોદરાઃ સ્કૂલોમાં અડધુ શૈક્ષણિક વર્ષ પુરુ થઈ ગયુ છે અને ૨૧ નવેમ્બર પછી દિવાળી વેકેશન પૂરુ થયા બાદ બીજા સત્રનુ શિક્ષણ શરુ થશે પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂંકોને હજી સુધી  શિક્ષણ વિભાગે મંજૂરી આપી નથી.જેના પગલે વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે.

એક અંદાજ પ્રમાણે કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાના કારણે શહેર-જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૭૦ જેટલા પ્રવાસી શિક્ષકોની જરુરિયાત છે.શૈક્ષણિક વર્ષ શરુ થાય ત્યારે કાયમી શિક્ષકોની જે જગ્યાઓ ખાલી હોય તેની વિગતો ડીઈઓ કચેરી થકી શિક્ષણ વિભાગને મોકલાતી હોય છે.આ જગ્યાઓ પર કરાર આધારિત પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરાતી હોય છે.જેથી વિદ્યાર્થીઓનુ જે-તે વિષયનુ શિક્ષણ બગડે નહી.પ્રવાસી શિક્ષકોે લેક્ચર દીઠ ચોક્કસ રકમ ચુકવવામાં આવતી હોય છે.

આ વખતે પણ વડોદરા-શહેર જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોને ૭૦ જેટલા પ્રવાસી શિક્ષકોની જરુર છે.ખાસ કરીને ધો.૧૦, ૧૧ અને ૧૨માં એકાઉન્ટ, ફિઝિક્સ અને ગણિત જેવા વિષયો માટેના કાયમી શિક્ષકોના અભાવે પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવી પડે તેમ છે.જોકે મંજૂરીના અભાવે પહેલા ૬ મહિના એમ જ પસાર થઈ ગયા છે.ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણતા મધ્યમ  અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓના અભ્યાસ પર શિક્ષકોના અભાવે અસર પડી રહી છે અને તેમની સાથે આ એક પ્રકારનો અન્યાય છે તેવુ શૈક્ષણિક સૂત્રોનુ કહેવુ છે.

વડોદરા શહેરના એક આચાર્યે કહ્યુ  હતુ કે, હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ આપવા પર વિચારણા થઈ રહી છે પણ જ્યારે વર્ગોમાં શિક્ષણકાર્ય શરુ થશે ત્યારે ઘણી સ્કૂલોમાં મહત્વના વિષયના લેક્ચર લેવા માટે શિક્ષક જ નહીં હોય.