બગોદરા - આણંદની ડી.એન. કેમ્પસ
હોસ્ટેલમાં અભ્યાસ કરતી કોળી સમાજની બે દીકરીઓના રહસ્યમય મોત મામલે ભારે રોષ ફાટી
નીકળ્યો છે. ધોળકા અને બાવળા ખાતે 'શ્રી તળપદા કોળીપટેલ યુવા
સંગઠન' દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉચ્ચ સ્તરીય
તપાસની માંગ કરવામાં આવી છે. અગાઉ આરતી કોલચા અને તાજેતરમાં ધરતી ગોહેલના શંકાસ્પદ
મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે આ આત્મહત્યા નહીં પણ
હત્યા છે. ઘટનાસ્થળે શંકાસ્પદ પુરાવા અને ગૃહમાતા દ્વારા કરાયેલા વિચિત્ર વર્તનને
પગલે સમાજના આગેવાનોએ પોલીસને બદલે કોઈ નિષ્પક્ષ ઉચ્ચ એજન્સી દ્વારા તપાસની માંગ
કરી છે, જેથી પીડિત પરિવારોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી
ઘટનાઓ અટકે.


