Surendranagar News: ગત 30 જુલાઇ 2025ના રોજ મૂળી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદે કાર્બોસેલ (કોલસો) ખનનનો પર્દાફાશ થયો હતો, જે કેસમાં મુળી મામલતદાર દ્વારા 04 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 6 મહિના પહેલા કરાયેલા દરોડામાં સ્થળ પરથી ગેરકાયદેસર ખનનમાં વપરાતા ચાર ટ્રેક્ટર, કમ્પ્રેસર સહિત ફૂલ રૂ.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કૂવામાંથી 38 મજૂરોને બહાર કાઢી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થયેલ ફરિયાદ
1: ભરતભાઈ ગોવિંદભાઈ સારલા રહે.પલાસા તા.મુળી
2: સુનિલભાઈ હનાભાઇ ફીસડીયા રહે.પલાસા તા.મુળી
3: અનકુભાઈ ભુપતભાઈ થેરસા રહે.ધોળીયા તા.મુળી
4: રઘુભાઈ છનાભાઈ નદીસાળીયા રહે.ખાખરાળા તા.મુળી
સાત કૂવાઓ ઝડપાયા હતા
મહત્વનું છે કે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર મૂળી આર.ડી.પટેલની સંયુક્ત ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ધોળિયા ગામના સરકારી સર્વે નંબર 12/1/1 વાળી જમીનમાં ગેરકાયદે કાર્બોસેલ કાઢતા સાત કૂવાઓ ઝડપાયા હતા. જેમાંથી કૂવાઓમાંથી ચારમાં ફસાયેલા 38 મજૂરો સુરક્ષિત રીતે બહાર પણ કાઢવામાં આવ્યા હતા. 36 લાખનો મુદ્દામાલ ઝડપી તેને મામલતદાર કચેરી મુળી ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ બેફામ ખનન
6 મહિના જૂના કેસમાં આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ તથા "ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017ના નિયમ 21(3) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ સંપત્તિનો ભંડાર છે, પરંતુ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરીની ફરિયાદો સતત વધી રહી છે. ખાસ કરીને મુળી પંથકમાં કાર્બોસેલની સાથે સફેદ માટીનું ગેરકાયદે ખનન બેફામ થતાં તેને ડામવાના પ્રત્યનો ચાલી રહ્યા છે.


