Gujarat

સુરેન્દ્રનગર મનપાએ 143 કરોડનો બાકી વેરો વસુલવા આડેધડ નોટિસો ફટકારી

By GS TEAM
19 Feb 20262 mins read
સુરેન્દ્રનગર મનપાએ 143 કરોડનો બાકી વેરો વસુલવા આડેધડ નોટિસો ફટકારી

- પ્રાથમિક સુવિધાના અભાવે નગરજનોમાં ટેક્સ ભરવામાં ઉદાસીનતા

- માર્ચ મહિનો નજીક આવતા જ 21 કર્મચારીઓની 11 ટીમ બનાવી : દરેક કર્મચારીને દૈનિક રૂ.બે લાખનો ટેક્સ ઉઘરાવવાનો 'ટાર્ગેટ' અપાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તંત્રની તિજોરી ખાલીખમ જોવા મળી રહી છે. હાલમાં મહાનગરપાલિકાનું કુલ ટેક્સ ભરણું રૂ.૧૪૩ કરોડના આંકડાને પાર કરી ગયું છે. માર્ચ એન્ડિંગમાં નવા બજેટ અને વિકાસકામો માટે ફંડની તાતી જરૂરિયાત હોવાથી હવે પાલિકાએ વિવિધ વિસ્તારોમાં ટેક્સ કલેક્શન સેન્ટરો શરૂ કર્યા છે, પરંતુ સુવિધાઓ વગરની વસૂલાત તંત્ર માટે પડકારજનક બની રહી છે.

સુરેન્દ્રનગર મપનાએ માર્ચ મહિનો નજીક આવતા જ અધિકારીઓએ ૨૧ કર્મચારીઓની ૧૧ જેટલી ટીમો બનાવી મેદાનમાં ઉતારી છે.  દરેક કર્મચારીને દૈનિક રૂ.૨ લાખનો ટેક્સ ઉઘરાવી લાવવાનો કડક ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આટલી મોટી ફોજ છતાં દૈનિક સરેરાશ વસૂલાત માત્ર રૂ.૬.૯૨ લાખ સુધી જ પહોંચી શકી છે. ચાલુ નાણાકીય વર્ષના ૧૧ મહિનામાં કુલ રૂ.૨૦.૯૬ કરોડની વસૂલાત થઈ છે, જે બાકી લેણાંની સરખામણીએ ઘણી ઓછી છે.

શહેરીજનોમાં ટેક્સ ન ભરવા પાછળનું મુખ્ય કારણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું મનાય છે. મહાનગરનો દરજ્જો મળ્યા છતાં લોકોને રોજ પીવાનું પાણી, યોગ્ય સ્ટ્રીટ લાઈટ, અને સારા રોડ-રસ્તા મળતા નથી. મનપામાં ભળેલા નવા ૫ ગામોની સ્થિતિ પણ સુધારા પર નથી.  

એક જ પ્રોપર્ટીના બે અલગ બિલથી પ્રજા પરેશાન

અનેક કિસ્સામાં એક જ પ્રોપર્ટી માલિકને બે અલગ-અલગ નામના બિલ ફટકારવામાં આવે છે. ટેક્સ ભરી દીધો હોવા છતાં ફરી નોટિસો આવતા અને મિલકત જપ્ત કરવાની ચીમકી મળતા પ્રામાણિક કરદાતાઓ પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે ટેક્સ ઉઘરાવવા જતી ટીમોને જનતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.