Gujarat Land Fraud Case: સુરેન્દ્રનગર જિલ્લામાં બહુચર્ચિત જમીન સંપાદન અને બિનખેતી (NA) કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના ચાર આરોપીઓને આજે અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
EDની 14 દિવસના રિમાન્ડની માંગણી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ મની લોન્ડરિંગ કેસમાં ઊંડી તપાસ કરવા માટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. EDએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કૌભાંડના મૂળ અત્યંત ઊંડા છે અને તેમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયા છે, જેની તપાસ માટે કસ્ટડી જરૂરી છે.
તપાસમાં ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરાવવાનું મોટું નેટવર્ક ચાલતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પાડેલા દરોડા દરમિયાન EDને ₹67.50 લાખની રોકડ મળી આવી હતી. રોકડની સાથે અનેક વાંધાજનક દસ્તાવેજો અને મિલકતના કાગળો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે સીધી રીતે આ કૌભાંડ તરફ ઈશારો કરે છે. ED હવે આ મામલે પકડાયેલા અધિકારીઓની પૂછપરછ કરશે કે આ નાણાં ક્યાંથી આવ્યા અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ કેટલાક ખુલાસા થવાની શક્યતા છે.
કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ રડારમાં
મંગળવાર વહેલી સવારથી જ EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. રાજેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર), ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) (ધરપકડ કરાઈ), મયુરસિંહ ગોહિલ (NA શાખાના ક્લાર્ક), જયરાજસિંહ જાડેજા કલેક્ટરના PA (લખતર સ્થિત નિવાસસ્થાન) અને ડી. ચેતન કણઝરીયા વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઈડીની ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા
NA શાખાના કૌભાંડની પ્રબળ આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી (NA) કરવાની પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની અરજી EDને મળી હતી. આ તપાસમાં EDએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, EDની ટીમે તપાસ દરમિયાન એસીબી(ACB)ના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હતા, જે સંપત્તિ અથવા રોકડના મોટા વ્યવહારો તરફ ઇશારો કરે છે. જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જ ED ત્રાટકતા આખા જિલ્લાના સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
દરોડાના ત્રણ દિવસ પહેલા જ શાખા વિખેરી દેવાઈ હતી
આ સમગ્ર કેસમાં સૌથી શંકાસ્પદ પાસું એ છે કે, EDના દરોડા પડ્યા તેના માત્ર ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક NA (બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી.
આગળની કાર્યવાહી
હાલમાં ચંદ્રસિંહ મોરીને અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ED દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓના આધારે આગામી દિવસોમાં અન્ય મોટા માથાની પણ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.


