Surendranagar Land Scam Case: સુરેન્દ્રનગરના કલેકટરનું કથિત 1500 કરોડના જમીન NA કૌભાંડમાં નામ ચર્ચામાં આવતા ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી ડૉ. રાજેન્દ્ર પટેલની બદલી કરી છે. તેમને હાલ વેઇટિંગ ઇન પોસ્ટિંગ પર મૂકી દેવાયા છે. તેમની આગામી આદેશ સુધી, એટલે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ચાર્જ સોંપવામાં આવ્યો નથી. હાલ સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે.એસ. યાજ્ઞિકને આગામી નિર્દેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મહત્વનું છે કે ACBએ આજે કલેકટર રાજેન્દ્ર પટેલ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

67.50 લાખની રોકડ મળી
મંગળવાર (23 ડિસેમ્બર) વહેલી સવારથી જ EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. રાજેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર), ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) (ધરપકડ કરાઈ), મયુરસિંહ ગોહિલ (NA શાખાના ક્લાર્ક), જયરાજસિંહ જાડેજા કલેક્ટરના PA (લખતર સ્થિત નિવાસસ્થાન) અને ડી. ચેતન કણઝરીયા વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી EDને 67.50 લાખની રોકડ મળી આવી હતી. અને કલેકટરના નિવાસસ્થાનેથી 100 જેટલી ફાઈલો મળી આવી હતી.
7 દિવસના રિમાન્ડ પર ચંદ્રસિંહ મોરી
આરોપી(ચંદ્રસિંહ મોરી)ની ગત રાત્રે 10: 45 કલાકે અટક કરવામાં આવી છે. આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા તો 24 કલાકના સમયનો ઉપયોગ કેમ ન કર્યો, EDએ સમગ્ર કેસમાં બે ગુનાનો ઉલ્લેખ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 1 જાન્યુઆરી 2026ના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર ર્ક્યા છે.'
કલેકટર ઓફિસના ઘણા કર્મચારીઓની સંડોવણી?
સૂત્ર પાસેથી કેસની મળતી વિગતો અનુસાર વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવવાનો વહીવટ ચાલતો હતો. જમીન NA કરાવવામાં સુરેન્દ્રનગર કલેકટર ઓફિસના ઘણા કર્મચારીઓની મોટા પાયે સંડોવણી હોઈ શકે છે જે તપાસનો વિષય છે.
અઠવાડિયા પહેલા જ કલેક્ટરે એન.એ. શાખાને વિખેરી નાખી હતી!
EDએ દરોડા પાડયા તેના ત્રણ દિવસ અગાઉ કલેક્ટર રાજેન્દ્ર પટેલે એન.એ. શાખાને વિખેરી નાખી હતી. એન.એ. શાખામાં રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાને તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે એન.એ. શાખામાં કોઇ કૌભાંડ થયું છે જેના કારણે બદલી કરી મામલો ઠરીઠામ કરવામાં આવ્યો હતો?


