Gujarat

સુરત : જલગાંવ રૂટના ડોડાઈચાને ત્રણ અને સીન્દખેડાને એક ટ્રેનનું છ મહિના માટે સ્ટોપેજ અપાયુ

By GS Team
7 Mar 20191 min read
This article was originally published on 7 Mar 2019
સુરત : જલગાંવ રૂટના ડોડાઈચાને ત્રણ અને સીન્દખેડાને એક ટ્રેનનું છ મહિના માટે સ્ટોપેજ અપાયુ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 7 માર્ચ 2019 ગુરુવાર

સુરતથી ભુસાવળ વચ્ચેની રેલવે લાઈનને ડબલ ટ્રેકમાં ફેરવવામાં આવ્યા પછી આ રૂટ પરના સ્ટેશનો માટે નવા ટ્રેનોના સ્ટોપેજ આપવાનું શરૂ કરાયું છે. જલગાંવ તરફના પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે દોડાઈચા અને સીન્દખેડા સ્ટેશન ઉપર ટ્રેનોનું સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે છ મહિના માટે અપાયું છે. દોડાઈચા રેલવેસ્ટેશનને ત્રણ અને સીન્દખેડા સ્ટેશનને એક ટ્રેન સ્ટોપેજ જાહેર કરાયું છે.

પશ્ચિમ રેલવેએ દોડાઈચા રેલવે સ્ટેશનને તા.૭ માર્ચથી પુરી-ઓખા એક્સપ્રેસ (૧૮૪૦૧-૦૨) અને પૂરી-અમદાવાદ એક્સપ્રેસ ( ૧૮૪૦૫-૦૬) નું તથા તા.૯મીથી પુરી-અજમેર એક્સપ્રેસ (૧૮૪૨૧-૨૨) ટ્રેનનું તથા સીન્દ્ખેડા રેલવે સ્ટેશનને તા.૮મીથી છપરા-સુરત તાપ્તીગંગા એક્સપ્રેસ(૧૯૦૪૫-૪૬) નું સ્ટોપેજ જાહેર કરાયું છે. છ મહિનાના પ્રાયોગિક ધોરણે આ સ્ટોપેજ હોઇ, ઓગસ્ટ સુધી આનો અમલ રહેશે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં મરાઠી ભાષીઓ વસતા હોવાથી, દોડાઈચા અને સીન્દ્ખેડા રેલવેસ્ટેશનને જાહેર કરેલા નવા સ્ટોપેજથી સુવિધાઓ મળશે. તાપ્તીગંગા રેલવે લાઇનને ડબલ ટ્રેકમાં ફેરવવામાં આવ્યા પછી આ રૂટ ઉપરની ટ્રેન સેવાઓમાં વધારો કરાઈ રહ્યો છે. આ અગાઉ નવી ટ્રેનો શરૂ કરવા સાથે હવે બે સ્ટેશન ઉપરના સ્ટોપેજ અપાયા છે.