ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડનું જોડાણ તુટયું ચૂંટણી પતી ને સુવિધા પર કાતર ફરી : કરોડોની આવકનો જશ ખાટતા રેલવે તંત્રએ માત્ર એક મહિનો ટ્રેન દોડાવી સંતોષ માન્યો
રાજકોટ, : સૌરાષ્ટ્રના હાર્દ સમાન રાજકોટને રેલવે સુવિધાઓ બાબતે હંમેશા અન્યાય થતો રહ્યો છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને લાલકુવા વચ્ચે જે 'સમર સ્પેશિયલ' ટ્રેન શરૂ કરવામાં આવી હતી, તેનું ગણતરીના દિવસોમાં જ બાળમરણ કરી દેવામાં આવતાં મુસાફરોમાં કચવાટ પ્રસર્યો છે. આ ટ્રેન માત્ર 6એપ્રિલથી 27 એપ્રિલ સુધી એટલે કે માંડ 8 ટ્રીપ દોડાવીને બંધ કરી દેવાઈ છે. નવાઈની વાત એ છે કે જ્યારે મે અને જૂન મહિનામાં વેકેશનનો ખરો ધસારો હોય છે, ત્યારે જ આ ટ્રેન બંધ કરી દેવામાં આવતાં રેલવે તંત્રનાં મેનેજમેન્ટ સામે સવાલો ઉભા થયા છે.
ટ્રાફિક ઓન ડિમાન્ડ હેઠળ શરૂ કરાયેલી રાજકોટ-લાલકુવા ટ્રેન ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ 28 એપ્રિલથી બંધ કરી દેવાઈ. હજુ તો મુસાફરોને આ ટ્રેન વિશે પૂરતી જાણકારી મળે અને લોકો આ સેવાનો લાભ લેવાનું શરૂ કરે ત્યાં જ તંત્રએ આર્થિક નફા-નુકસાનના ગણિત માંડી ટ્રેન બંધ કરી સૌરાષ્ટ્રની જનતાને અન્યાયનો સિલસિલો જારી રાખ્યો છે. આ ટ્રેન ગુજરાતના વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ થઈને રાજસ્થાનના જોધપુર, જયપુર તથા ઉત્તર પ્રદેશના મથુરા, કાસગંજ અને બરેલી જેવા મહત્વના સ્ટેશનોને સાંકળીને ઉત્તરાખંડના લાલકુવા પહોંચતી હતી. ગત વર્ષે ઉનાળામાં પણ તેનો સેંકડો મુસાફરોએ લાભ લીધો હતો અને આ વખતે ઉનાળુ વેકેશન દરમિયાન સપ્તાહમાં બે વખત દોડાવવાની માગ કરાઈ હતી, પણ ઉલ્ટાનું નિંભર રેલબાબુઓએ એ ટ્રેન જ બંધ કરી દીધી છે.
રાજકોટ રેલવે ડિવિઝને તાજેતરમાં ટિકિટ ચેકિંગ અને ગુડ્સ ટ્રાફિક દ્વારા કરોડો રૂપિયાની આવક મેળવી છે. રેલવેની તિજોરી ભરવામાં રાજકોટ ડિવિઝન મોખરે હોવા છતાં વર્ષો જૂની માગણીઓ જેવી કે હરિદ્વાર, મદ્રાસ, આસનસોલ, ચિત્રકૂટ, વલસાડ અને મુંબઈ માટેની ડેઈલી ટ્રેનો હજુ સુધી શરૂ કરાઈ નથી. સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે રાજકોટ-ઓખા વચ્ચે નવી લોકલ ટ્રેનો તથા પોરબંદર અને ઓખાથી અયોધ્યા, જમ્મુતાવી અને મુંબઈ જેવી લાંબા અંતરની ટ્રેનો વાયા રાજકોટ શરૂ કરવી આવશ્યક છે. જ્યારે પણ રજૂઆત થાય ત્યારે રાજકોટ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તો 'ઉપર'થી નિર્ણય લેવાય છે.. એવો રબ્બર સ્ટેમ્પ છાપ જવાબ આપીને જવાબદારીમાંથી છટકી જાય છે.


