Subhash Bridge Reconstruction: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુભાષ બ્રીજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલા આ બ્રીજના ડિમોલિશન(તોડી પાડવા)નું કામ હાલ પ્રગતિમાં છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.
કયો રોડ બંધ રહેશે?
બ્રીજના ડિમોલિશન દરમિયાન જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂર્વ બાજુનો રિવરફ્રન્ટ રોડ શીતલ એક્વા ફ્લેટથી ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ સુધી અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પૂર્વ બાજુએ સુભાષ બ્રીજ આગળ આવેલો રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ (વોકવે) પણ આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે.

વૈકલ્પિક રૂટની પણ જાહેરાત
નાગરિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ વાહનચાલકોએ શીતલ એક્વા ફ્લેટથી જમણી બાજુ થઈને ઈસ્કોન રિવરસાઇડ ફ્લેટ તરફથી રિવરફ્રન્ટ જતાં રોડનો ઉપયોગ કરવાનો રહેશે. તેવી જ રીતે, ઈસ્કોન રિવરસાઇડ ફ્લેટથી ડાબી બાજુ થઈ શીતલ એક્વા ફ્લેટ થઈને રિવરફ્રન્ટ તરફ જતાં રોડનો ઉપયોગ કરી શકાશે.


