Image From X |
Somnath News : ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક અને પવિત્ર તીર્થધામ સોમનાથમાં આવેલું ભવ્ય સર્કિટ હાઉસ અત્યારે ભારે વિવાદના વમળમાં ફસાયું છે. દરિયાકિનારે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલી આ સરકારી મિલકતને રાજ્ય સરકાર દ્વારા એક ખાનગી પાર્ટીને સાવ નજીવા દરે ભાડે આપી દેવામાં આવતા સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
40 કરોડ રૂપિયાની મિલકત અને ખાનગીકરણનો ખેલ
વર્ષ 2019માં સોમનાથના દરિયાકિનારે વિશાળ જગ્યામાં આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને 50 થી વધુ રૂમ ધરાવતા આ ભવનની આજની બજાર કિંમત 40 કરોડ રૂપિયાથી પણ વધુ અંકાય છે. જોકે, આટલી કિંમતી મિલકતને કોઈ પણ મોટા કારણ વગર ખાનગી સંસ્થાને સાવ મામુલી ભાડામાં સોંપી દેવાનો નિર્ણય સરકાર માટે ગળાનું હાડકું બન્યો છે. છેલ્લા 8 દિવસથી આ જગ્યા ખાનગી પાર્ટીના હસ્તક જતાં વિવાદ વકર્યો છે.
VIP પ્રોટોકોલ જોખમમાં સરકાર પાસે માત્ર 8 રૂમ
આ ખાનગીકરણની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 50 રૂમમાંથી સરકાર પાસે હવે માત્ર 8 રૂમ જ રહ્યા છે. સોમનાથમાં સતત વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM), સુપ્રીમ કે હાઈકોર્ટના જજ અને ઉચ્ચ કક્ષાના પ્રધાનોની અવરજવર રહેતી હોય છે. પ્રોટોકોલ મુજબ આ મહાનુભાવોને સાચવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર એવી સ્થિતિ ઉભી થાય છે કે, મોડી રાત્રે કોઈ VIP મહેમાન આવી જાય તો અગાઉથી રોકાયેલા અન્ય અધિકારીઓ પાસે રૂમ ખાલી કરાવવાની ફરજ પડે છે.
રોજગારી પર પ્રહાર અને સ્થાનિક નેતાઓની મુશ્કેલી
આ સર્કિટ હાઉસમાં અંદાજે 50 જેટલા શિક્ષિત યુવાનો રોજગારી મેળવતા હતા. જેઓ હવે ખાનગીકરણના કારણે બેરોજગાર બન્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોને પણ મિટિંગ કરવા કે અગત્યની બેઠકો યોજવા માટે જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ છે. 40 કરોડ રૂપિયાની મિલકતને નજીવી રકમમાં ખાનગી હાથોમાં સોંપી દેવાના આ નિર્ણયને લઈને જિલ્લાભરમાં વિવાદસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.


