Get The App

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ 1 - image


 Image From X

Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સમુદ્રમાં ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના યાત્રિકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી ગયા હતા. 

દર્શન કર્યા બાદ મોજાની મજા માણવી ભારે પડી

મહારાષ્ટ્રના સોલાપુરથી પ્રવાસીઓનો એક સંઘ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યો હતો. પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેઓ સોમનાથના દરિયા કિનારે મોજાંની મજા માણવા અને ફરવા માટે ગયા હતા. દરમિયાન અચાનક સમુદ્રમાં એકાએક ઊંચી લહેરો ઉછળી હતી, જેની ઝપટે ચડી જતાં ત્રણ યાત્રિકો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સ્થાનિકો અને પોલીસે 2 યાત્રિકોને ઉગાર્યા

દરિયામાં યાત્રિકો ડૂબતા જ કિનારે હાજર લોકોમાં ભારે ચીસાચીસ અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક માછીમારો, લાઈફ ગાર્ડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ટીમે બે યાત્રિકોને સમુદ્રમાંથી સુરક્ષિત અને જીવતા બહાર કાઢી લીધા હતા.

આ પણ વાંચો : દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો: આજે યુદ્ધ પૂરું થાય તો પણ 2027 પહેલાં ઓઇલ સંકટ ઉકેલાશે નહીં

1 યાત્રિક માટે સર્ચ ઓપરેશન ચાલુ

દુર્ઘટનામાં ભોગ બનેલા ત્રણ પૈકી બે પ્રવાસીઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ એક યાત્રિક હજુ પણ લાપત્તા છે. પોલીસ અને સ્થાનિક બચાવ ટુકડીઓ દ્વારા દરિયાના મોજાં વચ્ચે ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

સુરક્ષા સામે ફરી ઉઠ્યા સવાલો

આ ઘટનાને પગલે સોમનાથ પ્રશાસન અને દરિયા કિનારે પ્રવાસીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા અવારનવાર દરિયાના ઊંચા મોજાં અને કરંટને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને દરિયામાં ન નાહવા કે ઊંડે સુધી ન જવા માટે ચેતવણી આપવામાં આવતી હોય છે, તેમ છતાં અનેક લોકો જોખમ વહોરી લેતા હોય છે જે આવી મોટી દુર્ઘટનાઓનું કારણ બને છે.