Get The App

વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર 1 - image

- બોટાદ જિલ્લાના રાણપુરના જાળીલા ગામનો બનાવ

- પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ, બે ઘેટાના મૃતદેહ પીએમ માટે મોકલ્યા

બોટાદ : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ઘેટાના વાડામાં ૮ શ્વાનોએ ઘુસીને ૪૧ ઘેટાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. બનાવના પગલે પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.મૃતક ઘેટાં પૈકી બે ઘેટાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે રખડતા શ્વાનોએ ગામના પશુપાલક ધના રાઘા સાચલાના વાડામાં ૭થી ૮ શ્વાનોએ ઘુસી એકસાથે ૪૧ જેટલા ઘેટાંને ફાડી ખાતા ચકચાર મચી હતી. વાડામાં અંદાજે ૭૦ જેટલા ઘેટાં બાંધેલા હતા. ગત મોડી રાત્રે શ્વાનો વાડામાં ત્રાટકી હુમલો કરી ૪૧ જેટલા ઘેટાંના મારણ કર્યાં હતા. આજે વહેલી સવારે જ્યારે પશુપાલક પોતાના વાડામાં પહોંચ્યા ત્યારે તેને ઘેટાના મોતની જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ અને આગેવાનો ઘટના સ્થળે દોડી જઈ રાણપુર પશુ દવાખાનાના ડોક્ટરને જાણ પશુ ચિકિત્સકોની ટીમ જાળીલા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ઘેટાં પૈકી ૨ ઘેટાંનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આટલી મોટી સંખ્યામાં ઘેટાના મોતથી પશુપાલકને મોટો આર્થિક ફટકો પડયો છે ત્યારે સ્થાનિકો દ્વારા પશુપાલકને યોગ્ય વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે.

ઘેટાને ગળા, પગ અને થાપાના ભાગે ઈજાના નિશાન હતા

આ મામલે રાણપુરના પશુ ચિકિત્સા અધિકારી ડૉ.પ્રવિણ કણઝરીયાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમના વાડામાં ૪૦ જેટલાં ઘેટાંના ડેડબોડી હતી. જેમના ગળા, પગ અને થાપાના ભાગે શિકારી પશુઓ દ્વારા હુમલો કરાયો હતો. અન્ય ૬-૭ ઘેંટા જીવીત હતા. ઈજા પામેલા ઘેટાંને સારવાર આપવામાં આવી હતી.  બે ઘેટાંનું પીએમ કરેલું છે પશુપાલકે સવારે વાડાનો ડેલો ખોલ્યો ત્યારે વાડામાંથી આઠ થી નવ કૂતરા ભગાડેલા હતા. સાથોસાથ આ કૃત્ય રાની પશુઓનું હોવાના અનુમાન સાથે પણ તપાસ આદરી હતી. પરંતુ કોઇ સગડ મળવા પામ્યા ન હતાં. જ્યારે એક માસ પહેલા પણ કુતરાએ બે ઘેટા માર્યાનું પણ જણાયું હતું.