Gujarat

હિંમતનગર તાલુકામાં કોરોનાના નવા સાત અને પ્રાંતિજમાં એક કેસ

By GS Team
15 Jul 20202 mins read
This article was originally published on 15 Jul 2020
હિંમતનગર તાલુકામાં કોરોનાના નવા સાત અને પ્રાંતિજમાં એક કેસ

અમદાવાદ, તા.14 જુલાઈ, 2020, મંગળવાર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ આઠ કેસ આવતા મંગળવારે કોરોના પોઝેટીવ કેસનો કુલ આંકડો ર૫૮ પર પહોચી ગયો છે તેમજ હિંમતનગર પાસે આવેલા પાણપુર ગામે પણ કોરોના પોઝેટીવનો કેસ પ્રકાશમાં આવતા ગામમાં આરોગ્ય તંત્ર દોડયુ હતું. આ ઉપરાંત કાંકણોલ અને હિંમતનગર શહેર તથા પ્રાંતિજમાં કોરોના પોઝેટીવના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં  આંઠ કેસ નોધાયા છે તેમાં હિંમતનગરના આરટીઓ પાસે આવેલ ૫૦ વર્ષિય પુરૂષ, સંજર સ્ટ્રીટમાં ૭૫ વર્ષિય વૃધ્ધ અને ૬૭ વર્ષિય મહિલા કોરોના પોઝેટીવના ઝપટમાં આવ્યા છે તેજ પ્રમાણે સર્વોદય સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષિય પુરૂષ ઉપરાંત પાણપુર ગામના ૬૬ વર્ષિય પુરૂષ તથા કાંકણોલ ગામની સીમમાં આવેલ ચિત્રકુટ સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષિય પુરૂષ અને બેરણા ગામે ૪૫ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે.

તેજ પ્રમાણે પ્રાંતિજમાં રહેતા ૭૯ વર્ષિય વૃધ્ધ કોરોનાની ઝપેટમાં આવતા તેમને સારવાર માટે ખસેડાયા છે. તથા તેમના પરીવારને અને આસપાસના ઘરોને કોરોન્ટાઈન કરીને કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં મુકવા માટે તંત્ર ધ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી ૨૫૮ પૈકી ૧૭૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે જોકે હાલ હિંમતનગર તથા સરકારે જાહેર કરેલ અન્ય કોવિડ-૧૯ હોસ્પિટલોમાં ૭૫ દર્દીઓ સારવાર હેઠળ છે. તથા કરોના વાયરસને લઈને જિલ્લમાં ૧૦૧ વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. જ્યારે ૮૮૨ લોકોએ ૧૪ દિવસ ઓબ્ઝરવેશનમાં રહી ચુક્યા છે. જિલ્લમાં અત્યાર સુધી આરોગ્ય તંત્ર ધ્વારા ૭૩૮૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી ૭૧૦૪ લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.