Get The App

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ 1 - image


Iran Israel USA War Updates : મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે ઈન્ટરનેશનલ સ્તરે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ યુદ્ધને લીધે એર સ્પેસ બંધ કરી દેવામાં આવતા દુબઈ સહિતના વિસ્તારોમાં ગુજરાતના અનેક મુસાફરો અટવાયા હતા. ફસાયેલા આ પ્રવાસીઓએ ભારત સરકારને વતન પરત લાવવા માટે આજીજી કરી હતી, જે બાદ વિશેષ વ્યવસ્થા દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારે ખાસ ફ્લાઈટ દ્વારા 170 જેટલા પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. પરિજનોની ઘરવાપસી થતાં એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વહેલી સવારે 170 ભારતીય મુસાફરોને લઈને એક ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. વિમાનમાંથી બહાર આવેલા મુસાફરોએ પોતાનો અનુભવ વિશે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે દિવસથી દુબઈમાં ફસાયેલા હતા અને ત્યાં બોમ્બ તેમજ મિસાઈલ ધડાકાના અવાજો વચ્ચે ભારે ડરનો માહોલ હતો. જોકે, મુસાફરોએ ભારત સરકાર અને તંત્રનો આભાર માનતા કહ્યું કે, મુશ્કેલીના સમયે તેમને ત્યાં ફ્રી સુવિધા અને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ મુસાફરો અને તેમના પરિવારોના જીવમાં જીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ 210 મુસાફરો સાથે પણ એક ફ્લાઈટ અમદાવાદ આવી પહોંચી હતી.