Gujarat

જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો નોંધાયો

By GS TEAM
15 Jun 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેરના સિદ્ધનાથ સોસાયટી વિસ્તારમાં બે પડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક જ પરિવારના પાંચ સભ્યોને ઇજાઓ પહોંચ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો નોંધાયો

જામનગર શહેરના સિદ્ધનાથ સોસાયટી વિસ્તારમાં બે પડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક જ પરિવારના પાંચ સભ્યોને ઇજાઓ પહોંચ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદી ગીરધરભાઈ કરશનભાઈ ચાંડપા (ઉં.વ. 43), રહે. સિદ્ધનાથ સોસાયટી, જગન્નાથ મંદિર પાસે, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 14 જૂનના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે તેમના દીકરા હાર્દિક સાથે પડોશમાં રહેતા રમેશભાઈ નારણભાઈ ખીચ અને તેમની દીકરીઓ દીશા તથા મીતલ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

ફરિયાદ અનુસાર, ઝઘડો વધતા મીતલે હાર્દિકના માથામાં પાવડાથી હુમલો કરી લોહીલુહાણ ઇજા પહોંચાડી હતી. દરમિયાન ગીરધરભાઈ વચ્ચે પડતાં તેમના માથામાં પથ્થર મારી ઇજા કરવામાં આવી હતી. ફરિયાદીની પત્ની નીતાબેનને દોરડાથી માર મારવામાં આવ્યો હતો, જ્યારે બીજા દીકરા અશ્વીનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. વચ્ચે છોડાવવા આવેલા વિવેકને પણ માથામાં પથ્થર મારી ઇજા પહોંચાડવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ હુમલા દરમિયાન આરોપીઓએ જાતિ આધારિત અપમાનજનક શબ્દો ઉચ્ચારી અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનજનક વર્તન કર્યું હતું. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાર્દિકના માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા અને અન્ય ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસે રમેશભાઈ નારણભાઈ ખીચ, દીશા અને મીતલ સહિતના આરોપીઓ સામે મારામારી, ઇજા પહોંચાડવા, જાતિ પ્રત્યે અપમાનજનક વર્તન, એટ્રોસિટી અધિનિયમ તેમજ હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.