Gujarat

એસ.ટી. તંત્રમાં કંડક્ટરોની અછત સૌરાષ્ટ્રમાં ૩૦૦ બસ રૂટ કેન્સલ

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
એસ.ટી. તંત્રમાં કંડક્ટરોની અછત સૌરાષ્ટ્રમાં ૩૦૦ બસ રૂટ કેન્સલ

રાજ્યમાં લાંબા સમયથી ચાલતી 2200 કંડક્ટરની ભરતી પ્રક્રિયા ધીંગી કમાણી કરાવી દેતા એક્સપ્રેસ બસના રૂટ પણ કંડક્ટરોના અભાવે સ્થગિત, રાત્રિરોકાણ કરતી બસો બંધ કરવી પડી

રાજકોટ, : સૌરાષ્ટ્રના 5 એસ.ટી. વિભાગોમાં કંડકટર સ્ટાફની તીવ્ર ઘટના કારણે ધડાધડ બસ રૂટો બંધ થવા લાગ્યા છે. એસ.ટી. તંત્રને જાણે કે લકવો લાગ્યો હોય એમ ખુબ જ અગત્યના નાના - મોટા 300 જેટલા બસ રૂટો સ્થગિત કરી બંધ કરી દેવાયા છે. તમામ ડિવિઝનોના વિભાગીય નિયામકો પાસેથી વિગત એકત્ર કરાતા સૌરાષ્ટ્રમાં કુલ 719 બસ કંડકટરો ઘટે છે. રાજ્યમાં 2200 કંડકટરોની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે. પરંતુ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા આજ સુધી ભરતી થઇ નથી.  કંડકટરોની અવારનવાર ભરતી થાય છે, પરંતુ તેની સામે નિવૃત્તિનું પ્રમાણ પણ એટલું જ છે. નવા દાખલ થયેલા કંડકટરો ઊચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને પાસ થઇને અન્ય વિભાગોમાં ચાલ્યા જાય છે. જેના કારણે સતત ઘટ પડે છે. માહિતી મુજબ રાજકોટ ડિવિઝનમાં 210 કંડકટરોની ઘટ છે, તો ભાવનગર ડિવિઝનમાં 185ની ઘટ, જામનગર ડિવિઝનમાં 112ની ઘટ, જૂનાગઢ ડિવિઝનમાં 70ની ઘટ, અમરેલી ડિવિઝનમાં 142 કંડકટરની ઘટ છે. આમ બધા ડિવિઝન મળીને કુલ 719 કંડકટર ઘટે તેથી મહત્વના રૂટો પણ અચાનક કેન્સલ થાય છે. દરેક ડિવિઝન પાસે બસ વાહનો પુરતા પ્રમાણમાં છે, પરંતુ સ્ટાફની ખેંચ હોવાથી શેડયુઅલ ઉપાડી શકાતી નથી. હાલ કોરોના પછી સ્કૂલો ચાલુ થઇ છે. તેના વિદ્યાર્થીઓની આવ-જાવને એસ.ટી.એ પ્રાથમિકતા આપી છે. જેથી એકસપ્રેસ રૂટો પણ કેન્સલ થઇ જાય છે! 

એસ.ટી.માં કંડકટર સ્ટાફ જે હાલ છે તેમાં મહિલાઓ પણ છે. તેને રાત્રિરોકાણ કરતા રૂટોમાં શક્ય ત્યાં સુધી ડયુટી ફાળવવામાં આવતી નથી. પુરૂષ કંડકટરોને તેમાં મુકવામાં આવે છે. કેટલાક ડેપો મેનેજરોએ તો રાત્રિરોકાણ કરતા ગ્રામ્ય રૂટો પણ બંધ કરી દીધા છે. અગર તો નવા કંડકટરો ન મળે ત્યાં સુધી સંચાલન સ્થગિત કર્યું છે. 

કંડકટર સ્ટાફની ઘટના કારણે સૌરાષ્ટ્રમાં નાના - મોટા 300 બસ રૂટો હાલ બંધ કે હંગામી ધોરણે સ્થગિત કરી દેવાયા છે. તમામ વિભાગીય નિયામકો નવા સ્ટાફની ફાળવણીની કાગડોળે રાહ જૂએ છે. કેટલાય કંડકટરોને ડબલ ડયૂટી ફાળવે છે, ઓવર ટાઇમ કરાવી કામ લેવયા છે. અપૂરતા સ્ટાફના કારણે આવકને પણ જફા પહોંચી રહી છે. અઢી હજાર કંડકટરોની ભરતી માટે પરીક્ષા લેવાઇ ગઇ છે. હવે ક્યારે નિમણૂંક થાય તેની સૌને રાહ છે.