Get The App

સ્ક્રેપના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 3.48 કરોડની છેતરપિંડી

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
સ્ક્રેપના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 3.48 કરોડની છેતરપિંડી 1 - image

રાજકોટમાં વાસણની દુકાન ધરાવતા દંપતી સામે ફરિયાદ

દાણાપીઠમાં પેઢી ધરાવતા બે ભાઈઓ સહિત કુલ પાંચ રોકાણકારો ભોગ બન્યા, આરોપી દંપતીએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા

રાજકોટ: સ્ક્રેપના ધંધામાં માસિક ૮ થી ૧૦ ટકા વળતરની લાલચ આપી મવડી વિસ્તારમાં વાસણની દુકાન  ધરાવતા પ્રિયંક રમેશ કારિયા અને તેના પત્ની ડિમ્પલબેને પાંચેક રોકાણકારો સાથે રૂા. ૩.૪૮ કરોડની છેતરપિંડી કર્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે.જેની તપાસ ઇઓડબલ્યુને સોંપવામાં આવી છે. 

રામકૃષ્ણનગર વેસ્ટ શેરી નં. ૨માં રહેતા ધનસુખભાઈ મોરારજીભાઈ રાયચૂરા (ઉ.વ.૫૦) દાણાપીઠમાં રાયચૂરા ટ્રેડર્સ નામે અનાજ-કઠોળના હોલસેલની પેઢી ધરાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે તેના પાંચ ભાઈમાંથી સૌથી નાના મનહરભાઈનો પ્રિયંક સાળો છે. જે ઓમનગરમાં રૂદ્ર એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહે છે. તેને મવડી મેઇન રોડ પર ભક્તિનંદન કોમ્પ્લેક્સમાં ગિરીરાજ વાસણ નામની દુકાન છે. તે જ કોમ્પ્લેક્સમાં તેના પત્ની ડિમ્પલબેનને શ્રી દ્વારકાધીશ વાસણ નામની દુકાન છે.

ગયા વર્ષે એપ્રિલ માસમાં બંનેએ તેને કહ્યું કે સ્ક્રેપની લાઇનમાં ખુબ સારો નફો છે. રોકાણ કરવાથી માસિક ૯ થી ૧૦ ટકા વળતર મળે તેમ છે. આ રીતે તેને રોકાણ કરવાનું કહેતા તેણે શરૂઆતમાં રૂા. ૩૫ લાખ આપ્યા હતાં. જેની સામે તેને રૂા. ૩૦ લાખ પરત આપતા વિશ્વાસ બેસી ગયો હતો. આ પછી બંનેની પેઢીમાં વધુ રૂા. ૫૨ લાખ  ટ્રાન્સફર કર્યા હતાં. જેની સામે તેને રૂા. ૧૦ લાખ પરત આપ્યા હતાં. હાલમાં તેને બંને પાસેથી રૂા. ૪૭ લાખ લેવાના છે. જેનું વળતર પણ ચૂકવતા નથી.

 તેના મોટાભાઈ નવનીતભાઈએ પણ બંનેની પેઢીમાં રૂા. ૧.૦૩ કરોડ ટ્રાન્સફર કર્યા હતાં. જેની સામે રૂા. ૪૩ લાખ પરત આપ્યા હતા. આ પછી તેના ભાઈએ પોતાની રિધ્ધિ એગ્રો નામની પેઢીમાંથી બંનેના ખાતામાં રૂા. ૨૪ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. આ રીતે તેના ભાઈને પણ હજુ રૂા. ૧.૦૮ કરોડ લેવાના નીકળે છે. એટલું જ નહીં એરપોર્ટ રોડ પર શ્રીજી હાઇટ્સમાં રહેતા હિરેનભાઇ ભરતભાઈ કોટકે રૂા. ૧.૬૫ કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે તેને રૂા. ૯૫ લાખ પરત આપ્યા હતાં. શ્રીજી હાઇટ્સમાં જ રહેતા અશ્વિનભાઈ દલસુખભાઈ બુધ્ધદેવે રૂા. ૩૦ લાખનું રોકાણ કર્યું હતું. પંચાયત ચોક પાસે સિલ્વર સાઇન એપાર્ટમેન્ટમાં રહેતા અતુલભાઈ જમનાદાસ ઉનડકટે રૂા. ૯૩ લાખનું રોકાણ કર્યું હતું. આ બંનેને કોઇ રકમ આજ સુધી પરત મળી નથી.

આ રીતે બંને પાસે કુલ રૂા. ૫.૨૬ કરોડનું રોકાણ કર્યું હતું. જેમાંથી રૂા. ૧.૭૮ કરોડ ચૂકવી બાકીના રૂા. ૩.૪૮ કરોડ આજ સુધી ચૂકવ્યા નથી. એટલું જ નહીં પોતાના મોબાઇલ ફોન બંધ કરી ક્યાંક જતાં રહેતા આખરે ફરિયાદ નોંધાવી હતી.