Get The App

અણખોલ પાસેના રહીશોને પીવાનું પાણી નહી મળતા વુડામાં મોરચો

નર્મદા કેનાલમાં જોડાણ થતા જ ૧૦ દિવસમાં પાણી મળતું થઇ જશે તેવી હૈયાધારણા

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
અણખોલ પાસેના રહીશોને પીવાનું પાણી નહી મળતા વુડામાં મોરચો 1 - image

વડોદરા, તા.1 શહેરના પૂર્વમાં વુડા વિસ્તારમાં આવેલા અણખોલ ગામની આજુબાજુની સોસાયટીઓમાં પીવાનું પાણી નહી મળતા આજે રહીશોનો મોરચો વુડા ઓફિસે આવીને પાણી આપોનો પોકાર કર્યો હતો.

અણખોલ ગામની આસપાસ આવેલી સોસાયટીઓના નાના બાળકોથી માંડી વડીલો સુધીના રહીશો આજે બેનરો સાથે વુડા ઓફિસે આવ્યા હતાં. ટીપી-૨૫ નંબરના વિસ્તારના આ રહીશોએ વી વોન્ટ વોટરનો સૂત્રોચ્ચાર કરી આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમે છેલ્લા સાત વર્ષથી રહીએ છે પરંતુ પીવાનું પાણી મળતું નથી. ગ્રામ પંચાયતથી માંડી છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો કરી પરંતુ હજી સુધી પીવાનું શુધ્ધ પાણી તંત્રના પાપે અમારા નસીબમાં નથી.

એક રહીશે એવો આક્ષેપ કર્યો હતો કે અમો કલેક્ટરને પણ મળ્યા હતા અને તેમણે પણ સાત દિવસમાં વુડા પાણી આપશે તેવી વ્યવસ્થા કરશે તેવી હૈયાધારણા આપી હતી તેમજ વુડાના અધિકારીઓ પણ યોગ્ય જવાબ આપતા નથી. અમો વર્ષોથી પાણીના પ્રશ્નનો સામનો કરી રહ્યા છે જેથી ના છુટકે બાળકો અને વડીલો સાથે અમારે રજૂઆત કરવા આવવું પડયું છે

આ અંગે વુડાના અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારના રહીશો માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૫ એમએલડી પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે પરંતુ સોસાયટી અને ફ્લેટોની સંખ્યા વધી જતા આ પાણી ઓછું પડે છે. જેના પગલે આગામી ૩૦ વર્ષનો વિચાર કરીને સમગ્ર વિસ્તારમાં પાણી માટે લાઇનો નાંખી દેવામાં આવી છે અને નર્મદા કેનાલમાંથી ૨૪ એમએલડી પાણી મેળવવાની મંજૂરી મળી ગઇ છે. કેનાલમાંથી પાણી લેવા માટેની ટૂંકી લાઇન નાંખવાની બાકી છે પરંતુ કેનાલમાં પાણી વધારે હોવાથી તે કાર્ય હાલ થઇ શક્યુ નથી પરંતુ આગામી ૧૦ દિવસમાં તે પૂર્ણ થતાની સાથે જ લોકોને પૂરતી માત્રામાં પાણી મળશે.