30 દિવસમા કાર્યવાહી નહી કરાયતો માલઢોર સાથે કલેક્ટર કચેરીએ ધરણા પર બેસીશુ
2 મહીના માટે ચોટીલા પ્રાંત ઓફિસરને ચાર્જ આપવાની કરી માલધારીઓએ માંગણી
સુરેન્દ્રનગર - વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમમાં આવેલી ગૌચર અને ખરાબાની જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ સાથે ગામના માલધારી સમાજના અગ્રણી બુટાભાઈ આર. ટમાલિયા સાથે માલધારીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે આ ખનન પ્રવૃત્તિ અટકાવવા અને ગૌચરની જમીન મુક્ત કરાવવા માંગ કરી છે.
આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ ખોડુ ગામની સીમમાં સર્વે નં. ૧૨૫૮ સહિત અન્ય ગૌચર જમીનમાં ખનીજ માફિયાઓ દ્વારા મોટા પાયે ખોદકામ કરીને જમીનને નષ્ટ કરવામાં આવી છે. આ જગ્યા પર ગેરકાયદેસર રીતે પથ્થર કાઢવા માટે મોટા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધાતક વિસ્ફોટકોના કારણે રૃપાવટી અને વેળાવદર તરફ જતા મુખ્ય માર્ગો પર તેમજ ૬૬ કેવી સબ સ્ટેશનથી માત્ર ૧૦ ફૂટના અંતરેથી પસાર થતી હાઈટેન્શન લાઈન નજીક પણ ભયનો માહોલ સર્જાય છે. રસ્તે જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે આ પરિસ્થિતિ જોખમી બની છે. માલધારી અગ્રણીએ આક્ષેપ કર્યો છે કે ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સાથે વહીવટ કરીને ગૌચરની જમીન પર ગેરકાયદેસર પરવાના મંજૂર કરાવ્યા આક્ષેપ કરવામાં આવ્યા છે. માલધારીઓએ આ સાર્વજનિક જમીન પર થતા કોઈપણ પ્રકારના ખોદકામ કે માટીના કામનો વિરોધ કરી ચીમકી ઉચ્ચારી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ખનનનો વિરોધ કરવા જતાં માલધારીઓ પર હુમલો કરવામાં આવે છે અને તેમને ખોટા એટ્રોસિટી એક્ટના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ અપાય છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગૃ્રપસમાં જ્ઞાાતિ વિરોધી પ્રચાર કરીને બે જૂથો વચ્ચે અથડામણ કરાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરાયો છે. માલધારીઓએ ચેતવણી આપી છે કે જો ૩૦ દિવસની અંદર ગૌચરની અંદર થતું ખનન અટકાવવામાં નહીં આવે, તો તેઓ પોતાના પશુધન સાથે કલેક્ટર કચેરીમાં ધરણાં કરશે. તેમણે આ સ્થળની તટસ્થ તપાસ કરવાની અને ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાને ૨ મહિના પૂરતો ચાર્જ સોંપવાની માંગ કરી છે.


