જામનગર: જી.જી હોસ્પિટલમાં 60 સેમ્પલોના રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો

જામનગર, તા. 24 એપ્રીલ 2020, શુક્રવાર
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે અને રાત્રે એમ જુદા જુદા બે રાઉન્ડમાં કુલ 60 સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જેમાં સાત સેમ્પલો દેવભૂમિ દ્વારકા ના જ્યારે બાકીના તમામ જામનગર જિલ્લાના હતા. જે તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ની લેબોરેટરીમાં અત્યાર સુધીમાં 2,257 સેમ્પલો નું પરીક્ષણ કરી લેવામાં આવ્યો છે.
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ની લેબોરેટરીમાં ગઈ કાલે બપોર પછી 28 સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જે તમામ જામનગર શહેર અને મસીતીયા વિસ્તારના હતા. જે તમામનું પરીક્ષણ કર્યા પછી તમામ નો રિપોર્ટ નેગેટિવ આવતાં રાહતના સમાચાર મળ્યા હતા.
ત્યાર પછી રાત્રિના સમયે ત્રીજા રાઉન્ડમાં વધુ ૩૨ સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જેમાં જામનગરના ૨૫ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત સેમ્પલ નો સમાવેશ થાય છે. જે તમામ નું મોડી રાત્રી સુધી પરીક્ષણ કરી લેવાયા પછી તમામ 32 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની લેબોરેટરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 2,257 સેમ્પલો નું પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. છેલ્લા ૧૪ દિવસના સમયગાળા દરમિયાન જામનગરની જી.જી હોસપીટલ ની લેબોરેટરીમાં એક પણ પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી.




