Gujarat

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર સુરતની અન્વી ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં સરળતાથી 100 આસન કરે છે

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર સુરતની અન્વી ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં સરળતાથી 100 આસન કરે છે

સુરત, તા. 24

દેશના કુલ 29 બાળકોને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2022' આપવામાં આવ્યા છે. જેમાં સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની પણ પસંદગી કરવામાં આવી હતી. આજે વડાપ્રધાનના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમને આ પુરસ્કાર એનાયત કરાયો છે. અન્વીને 75 ટકા ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં તેણે યોગમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

સુરત કલેક્ટરની હાજરીમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બ્લોક ચેઈન ટેકનોલોજી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાને ઓનલાઈન પ્રશસ્તિપત્ર અને રૂ.1 લાખ તેના બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા. અન્વી સ્લો લર્નર છે .જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. અન્વી ડાઉન સિન્ડ્રોમ નામના રોગનો સામનો કરી રહી છે અને તેનું આંતરડું 75 ટકા ડેમેજ છે. ૭૫ ટકા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. જો કે અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી હોવા છતાં મનોબળ મજબૂત રાખીને પરિશ્રમ કરી રહી છે. યોગાને કારણે તે 100 થી વધુ આસનો સરળતાથી કરી શકે છે. યોગામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે અત્યાર સુધી 51 જેટલા મેડલો મેળવ્યા છે.

પિતા વિજયભાઈએ કહ્યું કે, અન્વી તેના દરેક કામ જાતે જ કરે છે. તે અમારા પર આધાર રાખતી નથી તે અમારા માટે ખુશીની વાત છે. તેની ઈચ્છા છે કે આગળ પણ તે યોગ અભ્યાસ કરીને દેશનું નામ રોશન કરશે તેમજ વડાપ્રધાન સાથે એક જ મંચ પર યોગ અને સૂર્ય નમસ્કાર કરવાની તેની ઈચ્છા છે. અમારી દીકરી સાથે અમે અન્ય તમામ બાળકો પોતાનું સપનું પૂરું કરે એવી પ્રાર્થના કરીએ છીએ.