Gujarat

વડોદરામા કોરોના સામે તકેદારી રાખવા રેપિડ એન્ટીજન ટેસ્ટનું પ્રમાણ વધારી દેવાયું

By GS Team
13 Nov 20211 min read
This article was originally published on 13 Nov 2021
વડોદરામા કોરોના સામે તકેદારી રાખવા રેપિડ એન્ટીજન ટેસ્ટનું પ્રમાણ વધારી દેવાયું

વડોદરા, તા. 13 નવેમ્બર 2021 શનિવાર 

દિવાળીના તહેવારો પૂર્વે બજારોમાં ભીડ અને દિવાળીના તહેવારો દરમિયાન લોકોની ચહલપહલમાં વધારો થવાના કારણે વડોદરામાં કોરોનાના કેસો વધ્યા છે. છેલ્લા 12 દિવસમાં શહેરમાં કોરોના પોઝિટિવ 66 કેસ નોંધાયા છે. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધતા તકેદારી રાખવા સરકાર તરફથી  સૂચના અપાઇ છે.

બીજી બાજુ કાલે કોર્પોરેશનમાં સૂચના અપાતા કોરોનાના વધતા કેસો સામે આજથી રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. શહેરના એન્ટ્રી પોઇન્ટ અને જાહેર સ્થળોએ, માર્કેટ, સ્ટેશન વગેરે સ્થળે લોકોનો ધસારો અને ભીડ વધુ રહે છે ત્યાં એન્ટીજન ટેસ્ટ નું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. 

તિબેટીયન માર્કેટ, રેલવે અને બસ સ્ટેશન, મંદિરો, કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા વગેરે સ્થળે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને 948 લોકોને ટેસ્ટ કરાયા પરંતુ કોઈ પોઝિટિવ મળ્યું ન હતું. જો કે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે રેપિડ ટેસ્ટ કરવામાં આવે જ છે, પરંતુ તકેદારીના ભાગ રૂપે તેનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે અને આગામી 15 દિવસ કોરોના અંગે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે. તહેવારોમાં ગાઇડ લાઇનને ભૂલીને લોકોએ જે બેદરકારી દાખવી છે તેના કારણે કેસો વધી શકે તેવું અનુમાન ડોક્ટરોનું છે.