Get The App

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત 1 - image


Road Accident In Rajkot-Jetpur Highway: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી જેતપુર તરફ જઈ રહેલી બોલેરો પીકઅપનું ટાયર ફાટતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી બ્રિજની દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડી ઉપર સૂતેલા શ્રમિકો નીચે રોડ પર પટકાતા બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી અનુસાર, બોલેરો પીકઅપમાં માછીમારીની જાળ અને પાંચ જેટલા ગેસના ખાલી સિલિન્ડર ભરેલા હતા. આ સામાનની ઉપર આશરે 15 જેટલા શ્રમિકો સૂતા હતા. જ્યારે પીકઅપ ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટાયર ફાટતા ગાડી બેકાબૂ બની હતી અને બ્રિજની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઉપર સૂતેલા શ્રમિકો હવામાં ફંગોળાઈને સીધા 30 ફૂટ નીચે પટકાયા હતા.

આ પણ વાંચ: અમદાવાદ-ગોધરા વચ્ચે 120 કિ.મી. સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનશે, એક્સપ્રેસ વે સાથે કનેક્ટિવિટી વધશે

આ ઘટનાને લઈને લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. 108ની રાહ જોયા વગર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી માનવતા દાખવી હતી. આ દુર્ઘટનામાં રીતેષ સહની અને અજાણ્યા શ્રમિકનું મોત નિપજ્યું હતું. જ્યારે ગુલાબ રામબલી સહની,શની અજય સહની, વિકાસકુમાર મીતલેશ સહની અને ચંદન નરેશ માજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોના પરિવારજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.