વડોદરા,બિહારના દરભંગાથી આવેલા ૨૦ બાળકોને બાળ તસ્કરીની શંકાથી પોલીસે ટ્રેનમાંથી ઉતારી બાળ સંરક્ષણ હોમમાં મોકલી આપ્યા છે.
રેલવે પોલીસને માહિતી મળી હતી કે, ૧૦૮ બાળકો બિહારથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા છે. તેમાં બાળ તસ્કરીની આશંકા દર્શાવવામાં આવી હતી.રેલવે પોલીસે મળસ્કે ચાર વાગ્યે છાયાપુરી રેલવે સ્ટેશન પર આવેલી અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. ટ્રેનમાંથી ૨૦ બાળકો મળી આવ્યા હતા. તે તમામ પાસે મુસાફરીની ટિકિટ હતી. તેમજ કોઇ હેન્ડલર મળી આવ્યો નહતો. પોલીસે તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તમામ બાળકોની પૂછરપરછ કરતા તેઓ અમદાવાદ સંબંધીના ઘરે જઇ રહ્યા હોવાની વિગતો જણાવી હતી. જેથી, પોલીસે તેઓના બ્લડ રિલેશનવાળા સગાઓને મેસેજ મોકલ્યો હતો. પોલીસનું કહેવું છે કે, હાલના તબક્કે બાળ તસ્કરી જણાઇ આવતી નથી. તેમછતાંય હજી તપાસ ચાલે છે.


