Gujarat

સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે

By GS Team
14 Aug 20252 mins read
This article was originally published on 14 Aug 2025
સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે

લોકોને સલામત, સ્વચ્છ, સસ્તુ મનોરંજન મળશે

પાંચ દિવસ સુધી યોજાનાર બંને મેળામાં અંદાજે ૮ લાખથી વધુ લોકો ઉમટી પડવાનું અનુમાન

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું પાંચ દિવસ આયોજન કરવામાં આવે છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આજથી બન્ને લોકમેળાને વિધિવત રીતે પ્રજાજનો તેમજ મેળારસીકો માટે ખુલ્લા મુકવામાં આવશે અને લોકો મન મુકીને મેળાની મજા માણશે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત ચાલુ વર્ષે શહેરની આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં વિરાસત જન્માષ્ટમી લોકમેળાનું તેમજ વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે ધરોહર જન્માષ્ટમી લોકમેળાનું આગામી તા.૧૮ ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ બન્ને લોકમેળાને આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાજનો માટે ખુલ્લા મુકવામાં આવશે જેમાં સુરેન્દ્રનગર આર્ટસ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આજે સવારે ૯-૩૦ કલાકે તેમજ વઢવાણના મેળાનું આજે સવારે ૧૦-૩૦ કલાકે લોકસભાના સાંસદ, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, મનપા કમિશનર, જિલ્લા કલેકટર, ડેપ્યુટી આઈજી ડો.ગીરીશકુમાર પંડયા સહિતનાઓની ઉપસ્થિતિમાં ખુલ્લા મુકવામાં આવશે. આ તકે રાજકીય આગેવાનો સાથે સાથે સંતો, મહંતો, સામાજીક આગેવાનો, શહેરીજનો અધિકારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

બન્ને લોકમેળામાં દરરોજ અલગ-અલગ કલાકારો દ્વારા ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તેમજ લોકોને મેળો માણવામાં કોઈ હાલાકી ન પડે તે માટે સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીક્યોરીટી ગાર્ડ, વોચ ટાવર, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે બન્ને લોકમેળામાં અવનવી રાઈડ્સ, ખાણી-પીણી તેમજ રમકડાના સ્ટોલ વગેરે આકષર્ણનું કેન્દ્ર બનશે અને પાંચ દિવસ સુધી ચાલનાર આ બન્ને મેળામાં અંદાજે ૮ લાખથી વધુ મેળારસીકો મેળો માણવા ઉમટી પડશે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.