Gujarat

માહીના ઘરોળિયા તળાવમાં ફેકટરીઓનું કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડાતાં વિરોધ

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
માહીના ઘરોળિયા તળાવમાં  ફેકટરીઓનું કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડાતાં  વિરોધ

છાપી તા.29

વડગામ તાલુકાના માહી ગામે આવેલ ઘરોળિયા તળાવમાં માહી ની સીમમાં આવેલ વિવિધ ફેક્ટરીઓનું કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડવામાં આવતા તળાવના કાંઠે રહેતા પરિવારોએ તંત્રને લેખિત રજુઆત કરી તાત્કાલિક અસરથી તળાવમાં ઠાલવવામાં આવતા દૂષિત પાણીને બંધ કરવા માંગ કરી છે.

વડગામ તાલુકાના માહી ગામેં આવેલ ઘરોળિયા તળાવમાં છેલ્લા કેટલાક સમય થી માહીની સિમમાં કથિત બિન અધિકૃત રીતે  ચાલતી ફેકટરીઓના માલિકો દ્રારા કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ તળાવમાં દુર્ગન્ધ મારવા સહિત તળાવમાં સંગ્રહ થતાં વરસાદી પાણી દૂષિત બનતા  તળાવની આસપાસ રહેતા પરિવારોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે દરમિયાન દૂષિત તેમજ ઝેરી પાણીના કારણે તળાવ વિસ્તારમાં આવેલ ખેતરોના પાક ઉપર પણ અસર થતી હોવાનું ખેતર માલિકો એ જણાવ્યું હતું તળાવમાં છોડાતાં કેમિકલ યુક્ત પાણી ને સત્વરે બંધ કરાવવા માટે સ્થાનિક પંચાયત માં ઇસ્તીયાકભાઈ સમદભાઈ મરેડિયા એ સ્થાનિકો ની સહીઓ સાથે લેખિત અરજી કરી ફેકટરીઓમાંથી આવતા કેમિકલ યુક્ત ઝેરી પાણી ને બંધ કરાવવા માંગ કરી હોવાનું જણાવ્યું હતું જોકે વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્રારા કોઈ જ પગલાં ઓ ન ભરતા અનેક તર્કવિતર્ક ઉભા થયા હોવાનું જાણવા મળે છે.

ફેકટરીઓની તપાસ કરવા માંગ

વડગામના માહીની સીમમાં ચાલતી વિવિધ સામગ્રીઓ બનાવતી ફેકટરીઓ તંત્રની મંજૂરી મેળવીને ચલાવવામાં આવે છે કે કેમ ? તેવો આક્ષેપ કરી  અરજદારે  તપાસ કરવા માંગ કરી બિનઅધિકૃત ચાલતી ફેકટરીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.