Gujarat

108નું રક્ષાકવચઃ સાંપ, વીંછી જેવા સરિસૃપોના ઝેરી ડંખ સામે લોકોને તાત્કાલિક સારવાર મળશે

By GS Team
2 Jul 20222 mins read
This article was originally published on 2 Jul 2022
108નું રક્ષાકવચઃ સાંપ, વીંછી જેવા સરિસૃપોના ઝેરી ડંખ સામે લોકોને તાત્કાલિક સારવાર મળશે

મહેસાણા,તા.02

108 એમ્બ્યુલન્સની ઈમરજન્સી સારવાર ભારત સહિત ઉત્તર ગુજરાતમાં દર્દીઓ માટે ભગવાન સ્વરૂપ સાબિત થઈ રહી છે. તાત્કાલિક સારવાર અપાવી દર્દીઓ અને સ્વજનોની હૂંફ પુરી પાડતી 108ની સેવામાં ચાલુ વર્ષે પણ એવીએસ ઈન્જેક્શન જેવી મેડિકલ સેવા પુરી પાડવામાં આવશે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાથી ઝેરી જનાવરોના રાફડા, દર જેવા રહેવાના સ્થળોમાં પાણી ભરાઈ જાય છે. તેમજ વરસાદના કારણે જમીનના પેટાળમાં પાણી ઉતરવાથી બફારો અને ગરમી છૂટે છે. આવા સંજોગોમાં ઝેરી જનાવરો પોતાનાે રહેણાંક વિસ્તાર છોડી અન્ય જગ્યાએ છૂપાઈ જવા કોશિષ કરતા હોવાથી માનવ વસાહતોમાં આવી જાય છે. જેના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન માણસ કે પશુઓને કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો હોવાનું જણાઈ આવે છે. 

આવી સ્થિતિમાં મેડિકલ ઈમરજન્સી સેવા પુરી પાડતી 108 એમ્બ્યુલન્સે ઝેરી સરિસૃપ કરડવાથી દર્દીને રક્ષણ આપવાનું બીડું ઝડપી લીધુ છે. અને હવેથી 108 ના તાલીમબધ્ધ ઈ. એમ. ટી તથા પાયલોટ ચાલુ ચોમાસામાં જનાવરોના ઝેરી ડંખથી દર્દીને બચાવવાનું અભિયાન હાથ ધર્યું  છે. જેમાં ઝેરી સાપના ઝેરથી બચાવનાર ASV ઇન્જેક્શન પણ અગાઉથી જ મંગાવીને રાખવામાં આવ્યા છે. જેના દ્વારા સ્થળ ઉપર જ જનાવરના ઝેરી ડંખ સામે 108ના કર્મચારીઓ સારવાર ઉપલબ્ધ કરાવી નવજીવન બક્ષવાનું કાર્ય કરશે. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે 108ને સાપ કરડવાનાં 177 કોલ મળ્યા હતા. જે પૈકી લગભગ 63% કરતા પણ વધુ કેશ ચોમાસામાં એટલે કે જુલાઈ થી ઓક્ટોબર મહિનામાં જ નોંધાયા હતા જે 113 કેસ હતા. જ્યારે પાટણ જિલ્લામાં આ કુલ 44માંથી 26 (લગભગ 59%) સાપ કરડવાના કેસ નોંધાયા હતા. આ તમામ કેસમાં 108 દ્વારા ASV ઇન્જેક્શન આપીને દર્દીના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. આ વર્ષે પણ 108 દ્વારા દરેક ઈમરજન્સીમાં તમામ દર્દીઓના જીવ બચાવવાની નેમ લેવામાં આવી છે.

વરસાદી માહોલમાં બનતા અકસ્માતોમાં મેડિકલ તૈયારી ઉપલબ્ધ થશે
108 એમ્બ્યુલન્સના તમામ સાધનો જેવા કે, બી.પી. મશીન , સ્ટેથોસ્કોપ, શક્ષન મશીન , થર્મોમીટર , પલ્સ-ઓક્સિમીટર, ઓકસીજન હ્યુમીડીફાયર , મલ્ટીપેરા મોનીટર , ગ્લુકોમીટર, ૮ પ્રકારના સ્પ્લિન્ટ, ૩ પ્રકાર ના સર્વાઈકલ કોલર , ૪ પ્રકારના સ્ટ્રેચર , ૩ પ્રકારની કુત્રિમ ઓક્સિજન આપવા માટેની અમ્બુબેગ) વગેરે 108 પાસે રાખવામાં આવ્યા છે. ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં કુલ 30 તેમજ 15 પાટણ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. બનાસકાંઠામાં નીતિન ગોરાદરા, નિખિલ પટેલ અને કમલેશ પુરોહિત સાથે પાટણ જિલ્લામાં નરેશ પટેલ ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ અને બે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયારે લોકોના જીવ બચાવવા મેડિકલ સામગ્રીની તૈયારીઓ કરી લીધી હોવાનું જણાવ્યું હતું.