Gujarat

વચનેષુ કિં દરિદ્રતા , ૨૪ કલાક મીટરથી પાણી આપવાનુ વચન ભાજપ-કોંગ્રેસે યાદ ના કર્યું

By GS TEAM
25 Apr 20261 min read
વચનેષુ કિં દરિદ્રતા , ૨૪ કલાક મીટરથી પાણી આપવાનુ વચન ભાજપ-કોંગ્રેસે યાદ ના કર્યું

  અમદાવાદ,શુક્રવાર,24 એપ્રિલ,2026

મતદારોને પ્રલોભનો આપવામાં પાછા નહી પડતા એવા ભાજપ અને કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૪ કલાક વોટર મીટરથી શહેરીજનોને પાણી આપવાનુ વચન યાદ પણ ના કર્યુ.વાસ્તવિકતા એ છે કે, વર્ષ-૨૦૧૦માં શહેરના જોધપુર અને સ્ટેડિયમ વોર્ડમાં ૨૪ કલાક મીટરથી પાણી આપવા શરૃ કરવામા આવેલી કામગીરી પછીથી અભેરાઈએ ચઢાવી દેવાઈ હતી.તે સમયે મીટરો પણ ચોરાઈ ગયા હતા.લાખો રુપિયાનો ખર્ચ માથે પડયો હતો.હાલમાં જોધપુર વોર્ડમાં અમુક સોસાયટીમાં નામ પુરતા મીટર લગાવાયા છે.પણ સપ્લાય તો સોસાયટીના કોમન કનેકશનમાંથી જ આપવામા આવે છે.

પંદર વર્ષ અગાઉ જે સમયે જોધપુર અને સ્ટેડિયમ વોર્ડમાં ૨૪ કલાક વોટરમીટર લગાવી પાણી આપવા પાઈલોટ પ્રોજેકટ અમલમા મુકવામા આવ્યો હતો.આ બે વોર્ડ પછી તબકકાવાર શહેરના તમામ ૪૮ વોર્ડમાં પાણી વોટરમીટરથી પાણી આપવાની ભાજપ દ્વારા જાહેરાત કરવામા આવી હતી. એ સમયે એમ પણ કહેવામા આવ્યુ હતુ કે, પાણી માટે વોટર મીટર લગાવામા આવશે  તો શહેરમા પાણીનો કરવામા આવતો બગાડ પણ અટકાવી શકાશે.આ જાહેરાત પછી સત્તાધારી પક્ષને ખબર પડી કે, ૨૪ કલાક વોટર મીટરથી પાણી આપવુ શકય નથી.કેમકે તે વખતે હાલમાં નર્મદા, રાસ્કા સહિતના સોર્સમાંથી અમદાવાદને પાણી મળે છે તે મળતુ નહોતુ. ઉપરાંત તે સમયે બે વોર્ડમાં લગાવવા માટે કોર્પોરેશને ખરીદેલા વોટર મીટરની પણ ચોરી થઈ હતી.આમ પાણી બચાવવા માટેના સારા આયોજનનુ બાળમરણ થઈ ગયુ હતુ.