Gujarat

સાબરમતી નદીમાં ફરી પ્રદૂષણ વધ્યુ છે : કોર્ટ સહાયકે હાઇકોર્ટનું ધ્યાન દોરાયુ

By GS Team
6 Aug 20221 min read
This article was originally published on 6 Aug 2022
સાબરમતી નદીમાં ફરી પ્રદૂષણ વધ્યુ છે : કોર્ટ સહાયકે હાઇકોર્ટનું ધ્યાન દોરાયુ

અમદાવાદ,તા.06 ઓગષ્ટ 2022,શનિવાર

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે કોર્ટ સહાયક તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સાબરમતી નદીમાં ફરી એકવાર પ્રદૂષણનુ પ્રમાણ વધી ગયુ છે. જે અંગે અમ્યુકો સહિતના સત્તાધીશોએ જરૂરી કાર્યવાહી કરવી રહી. સાથે સાથે સાબરમતી નદીમાં ઔદ્યોગિક અને રાસાયણિક કચરાના નિકાલ માટે મેગા-૨ પાઇપલાઇન પણ નાંખવામાં આવનાર હોવા અંગે હાઇકોર્ટને જાણ કરાઇ હતી. 

ઔદ્યોગિક-રાસાયણિક કચરાના નિકાલ માટે મેગા-૨ પાઇપલાઇન નંખાશે તેની પણ જાણ કરાઇ

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીના કેસમાં કોર્ટ સહાયક તરફથી આજે હાઇકોર્ટનું દોરાયું હતું કે, અગાઉ સાબરમતી નદીમાં પ્રદૂષણની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો પરંતુ ફરી પાછુ પ્રદૂષણ વધી ગયુ છે અને એ જ પરિસ્થિતિ બની છે. આ સંજોગોમાં મહત્વના એવા આ મુદ્દે ઝડપી સુનાવણી કરવામાં આવે. 

દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સુધારવા બાબતે પગલાં લેવાઇ રહ્યા હોવા અંગે કોર્ટને જાણ કરાઇ હતી. સાથે સાથે ઔદ્યોગિક અને રાસાયણિક કચરાના નિકાલ માટે મેગા-૨ પાઇપલાઇનનું પણ કામ ચાલુ હોઇ તે નંખાઇ જાય પછી આ સમસ્યાનું મહ્દઅંશે નિરાકરણ આવશે તેવી હૈયાધારણ પણ કોર્ટને અપાઇ હતી. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.