વડોદરા,પાંચ વર્ષ પહેલા ચોરી થયેલી બાઇક લઇને ખુલ્લેઆમ ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ખુલ્લેઆમ ટ્રાફિક નિયમનો ભંગ કરતા ચોરના કારણે ઇ - ચલણ બાઇક માલિકના ઘરે જાય છે.
મકરપુરા બસ ડેપોની બાજુમાં સ્વસ્તિક ચેમ્બર્સમાં રહેતા વકીલ જયમિન મનુભાઇ ત્રિવેદીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૦૩ - ૦૩ - ૨૦૨૧ ના રોજ હું મારા કામથી પરત ઘરે આવ્યો હતો. મારી બાઇક ઘરની આગળ રાત્રે ૯ વાગ્યે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે હું બાઇક લેવા ગયો ત્યારે બાઇક ચોરી થઇ ગઇ હતી. તે સમયે અરજી આપી હતી ફરિયાદ કરી નહતી. ત્યારબાદ તા. ૧૮ - ૦૪ - ૨૦૨૫ અને તા.૨૪ - ૦૭ - ૨૦૨૫ ના રોજ ઇ - ચલણ આવ્યા હતા. જેથી,તપાસ કરતા મારી બાઇક ત્રણ સવારી નવલખી અને કીર્તિસ્થંભ પાસે ફરતી હતી.
વકીલ જયમિન ત્રિવેદીએ આ અંગે ગયા ડિસેમ્બર મહિનામાં ફરીથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પરંતુ, પોલીસે ગુનો દાખલ કર્યો નહતો. છેવટે ઓનલાઇન ફરિયાદ કરતા છેવટે પોલીસને ગુનો દાખલ કરવો પડયો હતો.


