અમદાવાદ,શનિવાર
ક્રિપ્ટો અને અન્ય કરન્સીમાં રોકાણની સામે બમણાથી વધારે નફો કમાવી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં માત્ર મોટા શહેરો જ નહી પણ નાના શહેરોમાં રહેતા લોકોને સૌથી વધારે ટારગેટ કરીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. સોશિયલ મિડીયા પરથી લીંક મોકલીને વિવિધ લાલચ આપીને ઓછા રોકાણના સામે ૩૦ થી ૪૦ ટકા સુધીનું વળતર આપીને વિશ્વાસ જીત્યા બાદ વધુ નાણાંનું રોકાણ કરાવીને એકાઉન્ટમાં બમણો નફો દર્શાવવામાં આવે છે.
ક્રિપ્ટો અને અન્ય કરન્સીમાં હાલ રોકાણનો વૈશ્વિક સ્તરે ટ્રેન્ડ ચાલી રહ્યો હોવાનો ગેરફાયદો સાયબર ગઠિયાઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબ પર ક્રિપ્ટો સહિતની કરન્સીમાં રોકાણની સામે બમણાથી વધુ નફો અપાવવાની ખાતરી આપીને કે વોટ્સએપ કે ટેલીગ્રામ જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પરથી લીંક મોકલીને વિવિધ ગુ્રપ એડ કરીને તેમાં સાયબર ક્રિમીનલ જ અન્ય મેમ્બરની માફક રહીને ક્રિપ્ટોના રોકાણ પર ફાયદો થયો હોવાનું જણાવીને વિશ્વાસ કેળવીને ટારગેટ પાસે રજીસ્ટ્રેશન કરાવીને તેને શરૂઆતના રોકાણની સામે ૩૦ થી ૪૦ ટકા નફો આપવામાં આવે છે. જેથી રોકાણ કરનારને વધુ કમાવવાની લાલચ થતા તે વધારેને વધારે રોકાણ કરે છે.
જેની સામે તેના એકાઉન્ટમાં બમણો નફો દર્શાવવામાં આવે છે. જે ઉપાડવા માટે પ્રોસેસીંગ ફી કે ટેક્ષની રકમની માંંગણી કરીને વધુ નાણાં પડાવવામાં આવે છે. આ પ્રકારની છેતરપિંડીમાં લાલચમાં આવીને ગુજરાતમાં લોકો એક વર્ષમાં ૨૫ કરોડ ઉપરાંતની રકમ તો ક્રિપ્ટોમાં નફાની લાલચમાં આવીને ગુમાવી ચુક્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારની છેતરપિંડીમાં સિનિયર સિટીઝન કરતા યુવાનો સૌથી વધારે ભોગ બને છે. સ્ટેટ ક્રાઇમ સેલના અધિકારીએ જણાવ્યું કે સામાન્ય રીતે આ પ્રકારના સાયબર ક્રાઇમ પહેલા અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં જોવા મળતા હતા. પરંતુ, હવે નાના શહેરોમાં પણ ક્રિપ્ટોના રોકાણના નામે છેતરપિંડી કરવાના કિસ્સામાં પણ વધારો થયો છે.


