Get The App

વડોદરા શહેરના વિહાર સિનેમા-ગાજરાવાડી માર્ગ પર દબાણો અને ખાડાઓથી લોકો પરેશાન

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા શહેરના વિહાર સિનેમા-ગાજરાવાડી માર્ગ પર દબાણો અને ખાડાઓથી લોકો પરેશાન 1 - image

Vadodara : વડોદરા શહેરના વિહાર સિનેમાથી ગાજરાવાડી તરફ જતો માર્ગ પૂર્વ અને સિટી વિસ્તારને જોડતો મહત્વનો માર્ગ ગણાય છે. રોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવા છતાં માર્ગ પર ગેરકાયદે દબાણો, રખડતા પશુઓ અને ખરાબ રસ્તાના કારણે વાહનચાલકો તથા રાહદારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

ગુરુકુલ સર્કલથી વિહાર સિનેમા સુધીના અંદાજે ચાર કિલોમીટરના માર્ગ પર બંને બાજુ યોગ્ય ફૂટપાથની સુવિધાનો અભાવ જોવા મળે છે. કેટલાક સ્થળોએ ફૂટપાથ હોવા છતાં ત્યાં ગેરકાયદે દબાણો અને વાહનોનું પાર્કિંગ થતાં રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડે છે. 

આ માર્ગ પર શાળાઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સતત વાહનોની અવરજવર વચ્ચે રસ્તો પાર કરવો જોખમી બન્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન માટે આ માર્ગ પર ચાલવું મુશ્કેલ બની ગયું છે.

આ ઉપરાંત ગાજરાવાડી પાણીની ટાંકીથી વિહાર સિનેમા વચ્ચેનો માર્ગ વર્ષભર ઉબડખાબડ હાલતમાં રહેતો હોય છે. ચોમાસા દરમિયાન રસ્તા પર પડેલા ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપે છે. અગાઉ ખાડાના કારણે એક વ્યક્તિનો જીવ ગયો હોવાની ઘટના પણ બની ચૂકી છે.

લોકમાગ ઉઠી રહી છે કે, માર્ગ પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે, રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ રાહદારીઓ માટે યોગ્ય ફૂટપાથ અને સારો રસ્તો બનાવવામાં આવે. મહત્વનું છે કે, આ માર્ગ પરથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ અવરજવર કરતા હોય છે. છતાં સમસ્યાઓ તરફ ધ્યાન કેમ આપવામાં આવતું નથી તે મુદ્દે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.